અરાઉન્ડ ધ ગુજરાતઃ વાંચો, આજે રાજ્યમાં ક્યાં શું થયું
ગાંધીનગર, 6 ડિસેમ્બરઃ ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.
ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, ગુજરાત સરકાર દ્વાર નીમવામાં આવેલા જાસૂસીકાંડના તપાસ પંચને પડકારતી પીઆઇએલ હાઇકોર્ટમાં કરવામાં આવી છે. જેમાં તપાસ પંચની કાયદેસરતા સામે પ્રશ્નાર્થ ઉભો કરવામાં આવ્યો છે, તેમજ એવું પણ કહેવામાં આવ્યું છે કે, સરકાર દ્વારા 93 હજાર લોકોની પ્રાઇવસીનો ભંગ કરવામાં આવ્યો છે. આ કેસની તપાસ સીબીઆઇને સોંપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આજે વહેલી સવારે કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.
અમદાવાદઃ જાસૂસીકાંડના તપાસપંચને હાઇકોર્ટમાં પડકાર
ગુજરાત સરકાર દ્વાર નીમવામાં આવેલા જાસૂસીકાંડના તપાસ પંચને પડકારતી પીઆઇએલ હાઇકોર્ટમાં કરવામાં આવી છે. જેમાં તપાસ પંચની કાયદેસરતા સામે પ્રશ્નાર્થ ઉભો કરવામાં આવ્યો છે, તેમજ એવું પણ કહેવામાં આવ્યું છે કે, સરકાર દ્વારા 93 હજાર લોકોની પ્રાઇવસીનો ભંગ કરવામાં આવ્યો છે. આ કેસની તપાસ સીબીઆઇને સોંપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.
સુરતમાં કાર-બાઇક વચ્ચે અકસ્માત, એકનુ મોત
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આજે વહેલી સવારે કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે જાણવા મળતી માહિતી અનુસાર જહાંગીરપુરા આસારામ આશ્રમની બાજુમાંથી પસાર થતાં રોડ પર પુરપાટ ઝડપે દોડતી કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બાઇક ચાલક યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર પોલીસ મથકમાં અકસ્માત અંગે પૂછવામા આવતા પોલીસ દ્વારા અકસ્માતની વાતને નકારી કાઢવામાં આવી હતી.
સુરતઃ નારાયણ 11 ડિસેમ્બર સુધી રિમાન્ડ પર
સુરતમાં યુવતી પર દુષ્કર્મ કરવાના આરોપમાં ઝડપાયેલા નારાયણ સાઇને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટ દ્વારા 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ દ્વારા નારાયણ અને તેના બોડીગાર્ડ હુનમાન તથા ડ્રાઇવર રમેશના 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, પરંતુ મોડે રાત સુધી ચાલેલી દલીલ બાદ અદાલતે નારાયણ અને હનુમાનના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જ્યારે ડ્રાઇવર રમેશના તા. 7 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
વડોદરાઃ પ્રેમીથી ત્રાહિત પરીણિત પ્રેમિકાનો આપઘાત
વડોદરાના ગાજરાવાળીની કોકણ ફરિયામાં રહેતી પૂર્વિ ભરતભાઇ માલતે નામની 28 વર્ષિય મહિલાએ પ્રેમી દ્વારા સતત બળજબરી કરવામાં આવતા અને પરેશાન કરવામાં આવતા આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. આ અંગે મળતી માહિતી અનુસાર પૂર્વિ ભરતભાઇ માલતે ઘર કામ કરતી હતી અને તેમના પતિ ભરતભાઇ કલર કામ કરી ગુજરાન ચલાવતા હતા. લગ્નને આઠ વર્ષ થયા બાદ તેમને પાંચ વર્ષની બાળકી છે. તેઓ જ્યાં રહેતા હતા તેની નજીકમાં ટ્યૂશન ક્લાસ ચલાવતા અવધુત સાંવત સાથે તેમને લગ્નેતર સંબંધો બંધાયા હતા. જે દરમિયાન યુવક શારિરીક સંબંધ રાખવાની સતત માગણી કરતો હતો અને મેસજ કરીને હેરાન કરી રહ્યો હતો. પ્રેમીની આ પ્રકારની હરકતોથી ત્રાસી ગયેલી પૂર્વિએ ઘરે એકલતા મળતા પંખા સાતે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે પોલીસે આપઘાતની દૂષપ્રેરણાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદઃ વિદ્યાર્થી સાથે શિક્ષકે કર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
અમદાવાદ શહેરના રિલીફ રોડ પર આવેલી એક જાણીતી સ્કૂલમાં ધોરણ એકમાં અભ્યાસ કરતા પાંચ વર્ષના બાળક સાથે શિક્ષ દ્વારા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની વાત પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો છે. આ વાતની જાણ થયા બાદ ઉશ્કેરાયેલા વાલીએ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સંચાલકો દ્વારા વાલીને ધમકાવવામાં આવ્યા હતા અને મામલે ભીનું સંકેલાઇ ગયુ હતુ. જો કે, સંચાલક સામે વાલીઓ રોષે ભરાયા હતા અને સંચાલક વિરુદ્ધ હુરિયો બોલાવ્યો હતો.
રાજકોટઃ રિવોલ્વર બતાવી લૂંટ્યા 15 લાખ
હત્યા, લૂંટ, બળાત્કાર જેવા ગંભીર ગુનાઓ રાજકોટ જિલ્લા માટે સામાન્ય બની ગયા છે. થોડા દિવસ પહેલા જ રાજકોટના પટેલ યુવાનનું અપહરણ કરવામાં આવ્યું હતુ અને બાદમાં તેની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. જેનો સળગાવાયેલો મૃતદેહ વાંકાનેર પાસેથી મળી આવ્યો હતો. હજુ આ કેસમાં પોલીસ કોઇ ખાસ પગલાં ભરી શકી નથી, ત્યાં વાંકાનેર તાલુકાના ખેરવા ગામ પાસે ગતરાત્રે સ્ક્રોપિયોમાં આવેલા બુકાનીઘારી શખ્સો દ્વારા કારને આંતરવામાં આવી હતી અને રિવોલ્વર બતાવી 15 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બનાવ અંગે પોલીસને જાણ કરવામા આવતા નાકાબંધી કરવામાં આવી હતી, પરંતુ લૂંટારાઓ પોલીસને હાથ લાગ્યા નહોતા.