ગાંધીનગર કોર્ટે આસારામના 5 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગાંધીનગર, 15 ઓક્ટોબર: સુરતની બે બહેનો સાથે યૌન શોષણના આરોપોમાં ઘેરાયેલા આસારામ બાપુની આજે મંગળવારે ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જોધપુર જેલમાંથી ગુજરાત પોલીસની કસ્ટડીમાં આવેલા આસારામને આજે ગાંધીનગરની સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેમના વિરૂદ્ધ સુરતની બે બહેનોમાંથી મોટી બહેને આસારામ વિરૂદ્ધ બળાત્કારનો આરોપ લગાવ્યો છે જ્યારે નાની બહેને આસારામના પુત્ર નારાયણ સાંઇ વિરૂદ્ધ બળાત્કારનો આરોપ લગાવ્યો છે, જો કે નારાયણ સાંઇ હજુ સુધી ગાયબ છે.
Update:2.40 PM
સુરતની બે બહેનો દ્વારા આસારામ વિરુદ્ધ કરાવામાં આવેલા બળાત્કાર કેસમાં આજે આસારામને બપોરે સાડા અગિયાર વાગે ચુસ્ત પોલીસ જાપ્તા વચ્ચે ગાંધીનગર કોર્ટમાં લાવવામાં હતાં. કોર્ટ સંકુલમાં પ્રવેશતાની સાથે જ આસારામે ટોપીથી પોતાનું મોં ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો. આસારામને ગાંધીનગરમાં કોર્ટમાં લવાયાં ત્યારે કેટલાંક વકિલોએ સુત્રોચ્ચાર કર્યો હતો, જ્યારે આસારામના સમર્થકોએ પણ જયજયકાર બોલાવ્યો હતો. કોર્ટમાં બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યા છે. 19મીએ રિમાન્ડ પૂર્ણ થતાં ફરીથી આસારામને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરત રેપ કેસમાં આસારામ સાથે પોલીસે પૂછપરછ કરી. આ દરમિયાન આસારામે બધા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. જોધપુરથી ગુજરાત લાવવામાં આવ્યા બાદ અમદાવાદ પોલીસે આસારામ સાથે સોમવારે રાત્રે દોઢ કલાક સુધી પુછપરછ કરવામાં આવી હતી જેમાં આસારામે કહ્યું હતું કે મને હજારો લોકો મળે છે જેથી હું તે છોકરીને ઓળખતો નથી, જેને મારા પર આરોપ લગાવ્યો છે.
સુરત બળાત્કાર કેસમાં પોતાના પિતા સાથે આરોપી બન્યા બાદ નારાયણ સાંઇની ધરપકડથી બચવા માટે હાઇકોર્ટમાં આગોતરા જામીનની અરજી દાખલ આપી હતી, જેના પર આજે સુનાવણી થશે. પોલીસ હજુ સુધી તેમને આ મુદ્દે ધરપકડ કરી શકી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે આસારામ બાપુને ગુજરાતના સુરત શહેરની બે બહેનોએ યૌન શોષણની ફરિયાદના મુદ્દે પૂછપરછ માટે સોમવારે બપોરે અમદાવાદ લઇ જવામાં આવ્યા હતા. ત્રણ દિવસ પહેલાં અહીની એક કોર્ટે ગુજરાત પોલીસને આસારામને ધરપકડમાં લેવાની પરવાનગી આપી હતી. બંને બહેનોએ આસારામ અને તેમના પુત્ર વિરૂદ્ધ યૌન શોષણની ફરિયાદ દાખલ કરાવી હતી. 2001 થી 2006 દરમિયાન બળાત્કાર, યૌન શોષણ તથા ગેરકાયદેસર રીતે બંધક બનાવીને રાખવાના મુદ્દે તેમની પુછપરછ કરવામાં આવશે.