સરકારે આશા વર્કરના પગારમાં 30 ટકાનો વધારો કર્યો
રાજ્ય સરકારે વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ ચૂંટણીલક્ષી જાહેરાતોની શરૂઆત કરી. આશા વર્કરોના પગારમાં 30 ટકાનો વધારો કરવાની જાહેરાત ગુજરાત સરકારે કરી છે. આ અંગે વધુ વાંચો અહીં..
રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને હવે ત્રણ મહિના કરતા પણ ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ સરકાર આગામી વિધાનસભાની ચૂંટણીમાં નડતર રૂપ તમામ અવરોધોને એક પછી એક દૂર કરી રહ્યું હોય તેવુ લાગે છે. વિજય રૂપાણી સરકારે વધુ એક ચૂંટણીલક્ષી નિર્ણય લેતા આશા વર્કરોના પગારમાં 30 ટકાનો વધારો કર્યો છે. મંગળવારે ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વની જાહેરાત કરી જણાવ્યું હતુ કે રાજ્ય સરકાર આશા વર્કર બહેનોના પગારમાં 30 ટકાનો વધારો કરશે, તેનો લાભ કુલ 40,460 આશાવર્કર બહેનોને મળશે. તે ઉપરાંત આશા વર્કર બહેનોને બે સાડી કે બે ડ્રેસ પણ આપવામાં આવશે. સાથે જ આ વેતન વધારો એપ્રિલ 2017થી અમલી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આશા વર્કર બહેનોના પગરમાં કરવામાં આવેલા 30 ટકા જેટલા વધારાના પગલે સરકારી તીજોરી પર 45 કરોડનો નવો બોજ પડશે. તો બીજી તરફ આશા વર્કર અને આંગણવાડીની બહેનો પાછલા લાંબા સમયથી પોતાના પગાર વધારાની માંગને લઇને સતત આંદોલનો કરી રહી હતી. જેની સૌથી પહેલી માંગ પગાર વધારાની હતી. જે ગુજરાત સરકારે સ્વીકારી છે. ત્યારે શું આંગણવાડીની મહિલાઓ સરકારના આ પગલાથી સંતુષ્ટ છે કે નહીં તે જોવાનું રહ્યું.