બનાસકાંઠાના આ ગામના દરેક ઘરમાંથી એક સભ્ય આપી રહ્યો છે દેશની સુરક્ષા માટે સેવા
ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલુ મોટા નામનુ ગામ એક એવુ ગામ છે જેમાં દરેક ઘરમાંથી એક સભ્ય સૈનિક તરીકે દેશની સેવા આપી રહ્યો છે.
ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલુ મોટા નામનુ ગામ એક એવુ ગામ છે જેમાં દરેક ઘરમાંથી એક સભ્ય સૈનિક તરીકે દેશની સેવા આપી રહ્યો છે. અત્યાર સુધીમાં મોટા ગામમાંથી અનેક જવાનો, પોલિસકર્મીઓ દેશની સેવામાં જોડાઈ ચૂક્યા છે. આજે પણ ગામનો દરેક યુવાન સૈન્યમાં જોડાવા માટે મહેનત કરે છે. તમને જણાવી દઈએ કે બનાસકાંઠા જિલ્લામાં આવેલા મોટા નામના આ ગામની વસ્તી 6 હજારની જ છે પરંતુ ગામના દરેક ઘરમાંથી એક સભ્ય દેશની સેવામાં રત છે.
અત્યાર સુધીમાં મોટા ગામમાંથી 300થી વધુ આર્મીના જવાનો અને પોલિસકર્મીઓ દેશની સેવામાં જોડાઈ ચૂક્યા છે. આ ગામમાં બાળક જન્મે ત્યારથી જ તેના પરિવારજનો બાળકને દેશ સેવા માટે મોકલવાની તૈયારી શરૂ કરી દે છે. બાળકો નાનપણથી જ સૈનિક બનીને દેશ સેવા કરવાનુ સપનુ જોતા હોય છે. ઉલ્લેખનીય છે કે મોટા ગામમાંથી હરિસિંહ પરમાર અને ભૂપતસિંહ રાજપૂત નામના બે યુવાનો ભારતીય આર્મીમાં જોડાયા હતા. ભૂપતસિંહ રાજપૂતે કારગિલ ખાતે સફેદ નાલના ટાઈગર હિલ યુદ્ધમાં દુશ્મનો પર વિજય મેળવ્યો હતો.
ભૂપતસિંહને ત્યારબાદ કારગિલ અવૉર્ડથી સમ્માનિત પણ કરવામાં આવ્યા હતા અને ત્યારથી આ ગામના લોકોમાં દેશભક્તિની ભાવના તીવ્ર બની અને ગામના યુવાનો અલગ અલગ લશ્કરમાં જોડાવા લાગ્યા. આ ગામમાં શહીદ બહાદૂરસિંહ નામની સરકારી શાળા પણ આવેલી છે. આ ગામના 300થી વધુ જવાનો સીમા પર દેશની સેવામાં તૈનાત છે. જો કે મોટા ગામમાંથી ત્રણ જવાનો શહીદ થયા છે. દરેક રાષ્ટ્રીય પર્વ પર શહીદોને યાદ કરવામાં આવે છે. હાલમાં બીજા 200થી વધુ યુવાનો સરહદ પર જવા માટે મહેનત કરી રહ્યા છે અને સૈન્યમાં જોડાવાનુ સપનુ જોઈ રહ્યા છે.