બેંકની હડતાળ, યર એન્ડમાં આ ચાર દિવસ બેંકો રહેશે બંધ
મહાગુજરાત બેંક એમ્પ્લોઈઝ એસોસિએશનના સભ્યોએ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી હતી.
અમદાવાદઃ મહાગુજરાત બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન(MGBEA)ના સભ્યોએ સરકારની જાહેર ક્ષેત્રની બેંકોની કથિત વિરોધી નીતિઓના વિરોધમાં દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી હતી. બેંક કર્મચારીઓના યુનિયને 28, 29 માર્ચે હડતાળની જાહેરાત કરી છે. આ પહેલા શનિ અને રવિવારની રજા આવશે અને ત્યારબાદ સોમવાર અને મંગળવારે હડતાળના કારણે ચાર દિવસ સળંગ બેંકના કામકાજ બંધ રહેશે.
MGBEAના અંદાજ મુજબ બેંકો બંધ થવાથી બે દિવસના સમયગાળામામં 20,000 કરોડ રૂપિયાના વ્યવહારોને અસર થશે. નાણાકીય વર્ષના અંત 31 માર્ચ પહેલા બેંકોના હડતાળના નિર્ણયથી વેપાર અને ઉદ્યોગ સંસ્થાઓ નારાજ છે. આ હડતાળમાં રાજ્યની 3665 નેશનલાઈઝ બેંકના 40 હજાર કર્મચારીઓ જોડાશે. ક્લેરિકલ કર્મચારીઓના યુનિયન ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશને 28-29 માર્ચે રાષ્ટ્રવ્યાપી બેંક હડતાળનુ એલાન કર્યુ છે.
યુનિયનની માંગણી છે કે બેંકોનુ ખાનગીકરણ બંધ કરવુ, એનપીએમાં ગયેલી કંપનીઓની હેરકટ પોલિસી બંધ કરી તમામ રકમની રિકવરી, બેંક ડિપોઝીટ પર ઈન્ટરેસ્ટ રેટમાં વધારો કરવો, ગ્રાહકોને વધારાના ચાર્જ કરવાનુ બંધ કરવુ, નવી પેન્શન સ્કીમ બંધ કરવી, મુદત બાકી ધિરાણોની વસૂલી કરવી, અત્યાર સુધીમાં 5.44 લાખ કરોડની એનપીએ થઈ છે.
MGBEAના જનરલ સેક્રેટરીએ મીડિયાને જણાવ્યુ હતુ કે જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ માટે સરકારની બિડ સામે અમારો વિરોધ ચાલુ રહેશે. પલ્બિક બેંકિંગ સિસ્ટમને મજબૂત કરવાના પ્રયાસો કરવાના બદલે સરકાર જાહેર નાણાને ખાનગી હાથમાં મૂકી રહી છે. અમારા એસોસિએશન દ્વારા કરાયેલી અન્ય માંગણીઓમાં કોન્ટ્રાક્ટ કામદારોને કાયમી કરવા શામેલ છે.