ભાવનગર: બે ઇસમો ઘરફોડ ચોરીનાં મુદ્દામાલ સાથે ઝડપાયા
ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં થયેલ બે ઘરફોડ ચોરીના ગુનામાં બે ઈસમોને એલસીબી ટીમે મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.
ભાવનગર એલ.સી.બી.ની ટીમે ભાવનગર શહેરમાં ખા.વા.માં મિલકત સંબંધી ગુનાઓમાં પકડાય ગયેલ માણસોની તપાસમાં પેટ્રોલીંગમાં હતાં. પેટ્રોલીંગ દરમિયાન ફરતાં-ફરતાં ભાવનગર, મહિલા કોલેજ સર્કલમાં ડોકટર હોલ પાસે આવતાં અગાઉ લૂંટનાં ગુનામાં પકડાય ગયેલ નવાબ હનીફ ખાન અને યશદિપ વાઘેલા શંકાસ્પદ ઇસમો એક્ટીવા સાથે ઝડપાયા હતા. પોલીસે તેમની તપાસ કરતાં નીચે મુજબનાં સોના-ચાંદીનાં દાગીનાં મળી આવ્યા હતા. દાગીના તથા સ્કુટરને લગતા દસ્તાવેજો કે બિલ તેમની પાસે નહોતા.
- સોનાની રૂદ્રાક્ષની માળા- 1 કિ.રૂ.23,800/-
- સોનાની જેન્ટસ વીંટી-1 કિ.રૂ.5,500/-
- સોનાની નાકમાં પહેરવાની ચુંક નંગ-3 કિ.રૂ.1230/-
- ચાંદીનાં કંદોરા નંગ-2 કિ.રૂ.11,516/-
- ચાંદીનાં પગમાં પહેરવાનાં અલગ-અલગ વજનનાં છડા જોડ-2 કિ.રૂ.12,000/-
આમ, ઉપરોકત બંન્ને ઇસમો પાસેથી કુલ રૂ.54,046/-નો સોના-ચાંદીનો મુદ્દામાલ તથા એક્ટીવા સ્કુટર કિ.રૂ.30,૦૦૦/- મળી કુલ રૂ 84,046/નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. આ માલ તેમણે ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનું સ્પષ્ટ હતું. આથી આને શકપડતી મિલકત ગણી Cr.P.C.કલમઃ-102 મુજબ કબજે કરવામાં આવી હતી તથા આ બંન્ને ઇસમોની અટકાયત કરવામાં આવી હતી.
આ બંને ઇસમોની પુછપરછ કરતાં જાણવા મળ્યું કે, આ બંન્નેએ તેમના મિત્ર શક્તિસિંહ રણજીતસિંહ ગોહિલ સાથે મળી લગભગ પંદર-સોળ દિવસ પહેલાં આનંદનગર, અપ્પુ ટ્રેડર્સ પાસે આવેલ એક મકાનમાં રાતે ચોરી કરી હતી. આ મકાનમાંથી જ ઉપરોકત દાગીનાં ચોર્યા હોવાનું તેમણે કબુલ્યું હતું. તેમજ અગાઉ પણ આનંદનગર, જયેશ પ્રોવિઝન સ્ટોર પાસે આવેલ મકાનમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. આનંદનગર, અપ્પુ ટ્રેડર્સ પાસે આવેલ મકાનમાં થયેલ ચોરી અંગે વાલજીભાઇ જેઠાભાઇ જાદવે તા.14/04/2017નાં રોજ ભાવનગર, ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.