Excl : સાબિરના સહારે ભૂષણે જાળવ્યો ભટ્ટનો ગઢ
અમદાવાદ, 20 ડિસેમ્બર. આખરે બચી જ ગયો સ્વર્ગસ્થ અશોક ભટ્ટનો ગઢ. પુત્ર ભૂષણ ભટ્ટે પુનર્સીમાંકન બાદ જમાલપુર-ખાડિયા તરીકે અસ્તિત્વમાં આવેલ બેઠક બદલાયેલ સમીકરણો છતાં જીતી લીધી અને જમાલપુર સાથે જોડાયેલ ખાડિયા અને ખાડિયા સાથે જોડાયેલ ભટ્ટની આબરૂ બચાવી લીધી, કારણ કે ખાડિયા તે બેઠક છે કે જે અશોક ભટ્ટનો પર્યાય બની ચુકી હતી. અશોક ભટ્ટ આ બેઠક ઉપરથી સતત આઠ વાર ધારાસભ્ય તરીકે ચુંટાયા હતાં.

જમાલપુર-ખાડિયા બેઠક પર ભૂષણ ભટ્ટે કોંગ્રેસના સમીરખાન સિપાઈને 6 હજાર 359 મતોથી પરાસ્ત કર્યાં, પરંતુ ભૂષણના આ વિજયમાં સૌથી મોટો ફાળો કોંગ્રેસમાંથી બળવો કરી ચુંટણી મેદાને ઉતરેલ નિવર્તમાન ધારાસભ્ય સાબિર કાબલીવાલા. સાબિરને સહારે ભૂષણ પોતાના પિતા અશોક ભટ્ટનો ગઢ જાળવવામાં સફળ રહ્યાં. 2007માં સાબિર જમાલપુર બેઠક ઉપરથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચુંટાયા હતાં, પરંતુ કોંગ્રેસે પુનર્સીમાંકન બાદ બદલાયેલ સમીકરણોના પગલે નવી અસ્તિત્વમાં આવેલ જમાલપુર-ખાડિયા બેઠક ઉપરથી ટિકિટ આપી નહીં અને સાબિરે બળવો કરી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી.
જાહેર થયેલ પરિણામ મુજબ ભૂષણ ભટ્ટે કોંગ્રેસના સમીરખાન સિપાઈને પરાજિત કર્યાં છે. ભૂષણને 48 હજાર 388 મતો મળ્યા છે, જ્યારે સમીરખાન 42 હજાર 29 મતો હાસલ કરવામાં સફળ રહ્યા છે, પરંતુ તેનાથી પણ મોટી કોઈ બાબત હોય, તો તે છે સાબિર કાબલીવાલા કે જેમણે 30 હજાર 668 મતો અંકે કર્યા છે. સ્વાભાવિક છે કે જો સાબિરે બળવો ન કર્યો હોત, તો સાબિર અને સમીરખાનના મતોનો સરવાળો ભૂષણને તગેડી મુકવા માટે કાફી હતાં. આ રીતે એમ કહેવું અતિશ્યોક્તિ નહીં કહેવાય કે સાબિરને સહારે ભૂષણ પોતાના પિતા અશોક ભટ્ટનો ગઢ જાળવવામાં સફળ રહ્યાં.
શું કહે છે ઇતિહાસ
ખાડિયા વિધાનસભા બેઠક 1957માં અસ્તિત્વમાં આવી હતી. 2007 સુધી આ બેઠક પર થયેલ બાર ચુંટણીઓમાં અશોક ભટ્ટ 8 વાર ધારાસભ્ય તરીકે ચુંટાયા, તો કોંગ્રેસને માત્ર એક જ વાર જીતવાની તક મળી. સપ્ટેમ્બર-2011માં અશોક ભટ્ટનું નિધન થતાં પહેલી વાર ખાડિયાએ પેટા ચુંટણીનો સામનો કરવો પડ્યો. તેમાં પણ લોકોએ ભટ્ટના પુત્ર ભૂષણને વિજયી બનાવ્યાં. સ્વતંત્રતા બાદ 1960 સુધી ગુજરાત સૌરાષ્ટ્ર અને મુંબઈ રાજ્યોનો ભાગ રહ્યો. આ દરમિયાન 1951માં પ્રથમ વાર વિધાનસભા ચુંટણીઓ થઈ, ત્યારે ખાડિયા બેઠક નહોતી. 1957માં બૃહદ મુંબઈ રાજ્ય વિધાનસભા માટે જ્યારે ચુંટણી થઈ, ત્યારે ખાડિયા બેઠક અસ્તિત્વમાં આવી ચુકી હતી. પ્રથમ વાર અહીં મહાગુજરાત આંદોલનના નેતા બ્રહ્મકુમાર ભટ્ટ અપક્ષ ધારાસભ્ય તરીકે ચુંટાયા. 1962ની ચુંટણીમાં પૃથક ગુજરાત અસ્તિત્વમાં આવી ચુક્યુ હતું અને બ્રહ્મકુમાર ભટ્ટ પુન પ્રજા સમાજવાદી પક્ષ (પીએસપી) ધારાસભ્ય તરીકે ચુંટાયા. 1967ની ચુંટણીમાં પણ પીએસપી ઉમેદવાર એમ. જી. શાસ્ત્રી ચુંટાયા.
કોંગ્રેસને પહેલી અને છેલ્લી સફળતા
કોંગ્રેસને ખાડિયામાં 1972માં પ્રથમ અને છેલ્લી વાર જીત મળી. તે ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અજિત પટેલ ચુંટાયા. પછી તો અશોક ભટ્ટે પાછુ વળીને જોયુ નહીં. 1975માં અશોક ભટ્ટે જનસંઘના ઉમેદવાર તરીકે જીત મેળવી અને 1980માં ભાજપ અસ્તિત્વમાં આવ્યા બાદ અશોક ભટ્ટ સતત 1980, 1985, 1990, 1995, 1998, 2002 અને 2007ની ચુંટણીઓમાં ભાજપના ધારાસભ્ય તરીકે ખાડિયાથી ચુંટાતાં જ રહ્યાં.
પુનર્સીમાંકન પછી જોડાયું જમાલપુર
પુનર્સીમાંકન બાદ ખાડિયા સાથે જમાલપુર જોડાઈ ગયું. ખાડિયા વિધાનસભા મત વિસ્તારમાં અગાઉથી જ અલ્પસંખ્યકો મતદારોનું સારુ એવું પ્રમાણ હતું, પરંતુ જ્યારે જમાલપુરના વિસ્તારો તેમાં જોડાયાં, તો ભાજપની જીત સામે પ્રશ્નો ઊભા થઈ ગયાં. તેવામાં ખાડિયા અને અશોક ભટ્ટની પર્યાયતા જાળવી રાખવાની જવાબદારી ભૂષણ ભટ્ટ માટે મોટો પડકાર હતી અને આ પડકારને પહોંચી વળવામાં ભૂષણને સાથ મળ્યો સાબિરનો.












Click it and Unblock the Notifications
