ભાજપ - કોંગ્રેસના કયા ધૂરંધરોએ ચાટવી પડી ધૂળ
કોંગ્રેસ અને ભાજપ એમ બંને પક્ષોના નામી નેતાઓની હારથી એ સાબિત થાય છે કે મુખ્યમંત્રીના પુત્ર હોવાથી કે મુખ્યમંત્રીના ખાસ હોવાથી ચૂંટણી જીતાતી નથી, પરંતુ ચૂંટણી જીતવા માટે પોતાની એક ગઢ હોવી જોઇએ, નાગરીકોના કામ કરવાની અને કરાવવાની ઉમેદ હોવી જોઇએ.
ગુજરાતની પ્રજાએ કોંગ્રેસના પ્રદેશ સમિતિના પ્રમુખ અર્જુન મોઢવાડિયાનો, અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, અને પુર્વ મુખ્યમંત્રી ચિમનભાઇના પુત્ર સિદ્ધાર્થ પટેલનો પણ અસ્વીકાર કર્યો છે, અને આ તમામ દિગ્ગજ નેતાઓને હારનો સામનો કરવો પડ્યો છે. આ ઉપરાંત ભાજપના પ્રદેશ પ્રમુખ આર.સી ફળદુને પણ જામનગર ગ્રામ્યમાંથી હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે નરેન્દ્ર મોદીના ખાસ અને ગુજરાત સરકારના પ્રવક્તા જયનારાયણ વ્યાસ પણ સિદ્ધપુર બેઠક પરથી હારી ગયા છે.
આ ઉપરાતં અમરેલીની બેઠક પરથી ભાજપી દિગ્ગજ નેતા અને ગુજરાતના કૃષિ મંત્રી દિલીપ સાંઘાણીને કોંગ્રેસી ઉમેદવાર પરેશ ધાનાણીએ 86583 જેટલા મત મેળવી માત આપી છે. દિલીપ સાંઘાણીને 56690 જેટલા મત મળ્યા હતા. જોકે સાંઘાણી પર ભ્રષ્ટાચારના આરોપ હતા, જે તેમની હારનું કારણ હોઇ શકે છે.
ગુજરાતના ગૃહમંત્રી પ્રફુલભાઇ પટેલે હિંમતનગર બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો છે. ગોંડલ ખાતે જીપીપીના ગોરધન ઝડફિયાનો પરાજય થયો છે, તેમની સામે ભાજપના જયરાજસિંહ જાડેજાનો વિજય થયો છે. આ ઉપરાંત હરેન પંડ્યાની પત્ની જાગૃતિ પંડ્યા, સંજીવ ભટ્ટની પત્ની શ્વેતા ભટ્ટ અને કનુભાઇ કળસરિયાને પણ હારનો સામનો કરવો પડ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા પોરબંદરની બેઠક પરથી હારી જતા પ્રમુખ પદ પરથી રાજીનામુ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને મોકલાવી દીધું છે. તેમની સાથે સાથે કોંગ્રેસ પ્રદેશ સમિતિના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પણ હારની નૈતિક જવાબદારી સ્વીકારી પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું છે.