ગુજરાતમાં ભાજપ સરકારે કોરોના વેક્સિનેશનના નામે ભ્રષ્ટાચાર આચર્યોઃ શક્તિસિંહ ગોહિલ
ગુજરાતમાં ભાજપ સરકારે કોરોના વેક્સિનેશનના નામે ભ્રષ્ટાચાર આચર્યોઃ શક્તિસિંહ ગોહિલ
રાજીવ ગાંધી ભવન ખાતે સાંસદ શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસની વાત લઈને ફરી રહ્યાં છે ત્યારે ગુજરાતના તમામ લોકોનો હૃદયપૂર્વક પ્રેમ, સમર્પણ અને આશીર્વાદ આપવા બદલ તમામ ગુજરાતીઓનો હું કોંગ્રેસ પક્ષ વતી આભાર માનું છું. ગુજરાતનું ડી.એન.એ. એ ડેવલોપમેન્ટ છે. બીજા દેશોમાં જ્યારે હિંમત ન હતી ત્યારે આફ્રીકા અને યુરોપમાં પણ ગુજરાતીઓ કોઈપણ પ્રકારની અદ્યતન સગવડ વિના વહાણવટુ કરીને વેપાર કરતા હતા. આવા ઉદ્યમી ગુજરાતીઓએ ગુજરાત બનાવ્યું છે.
ભાજપ કહે છે કે, ગુજરાત મેં બનાવ્યું છે, અંધભક્ત કહે છે કે મેં અને નરેન્દ્ર મોદીએ ગુજરાત બનાવ્યું છે. હકીકતમાં તો ગુજરાતની જનતા એમ કહે છે કે ભાજપવાળા ગુજરાતને 'બનાવી’ ગયા. ભાજપે ગુજરાતને છેતર્યું છે.
મફત વેક્સિનેશન આપ્યું વડાપ્રધાન મોદી તેમની દરેક સભાઓમાં વેક્સિનેશનની વાત કરી રહ્યાં છે. ગુજરાતની અંદર મફત વેક્સિનેશનના નામે ખુબ જ મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. ભાજપે મફત વેક્સિનેશનના નામે આખા ગુજરાતને બનાવ્યું છે. આખા ગુજરાતમાં વેક્સિનેશનના નામે એક મોટુ કૌભાંડ આચરાયું છે. કરોડો રૂપિયા વેક્સિનેશનના સરકારે કંપનીઓને ચુકવી દીધા છે. જનતાએ ભાજપ પર વિશ્વાસ મુક્યો પરંતુ ભાજપે ભય મુક્ત ભ્રષ્ટાચાર કર્યો.
કોંગ્રેસ પક્ષ માંગણી કરે છે કે, આ વેક્સિનેશન કૌભાંડની હાઈકોર્ટ અથવા સુપ્રિમ કોર્ટના સીટિંગ જજ દ્વારા તપાસ કરવામાં આવે અને ગુજરાત અને દેશના દરેક લોકો પોતાનું વેક્સિનેશન ક્યારે થયું છે. તે ડેટા ઓનલાઈન જોઈ શકે તે માટે ઓનલાઈન વ્યવસ્થા કરવામાં આવે તે તમામ ડેટા પબ્લિક ડોમિનમાં મૂકે.