ભાજપ સરકારના અવિચારી નિર્ણયોની અસર ગુજરાતને થઇ છેઃ કોંગ્રેસ
ભાજપ સરકારના અવિચારી નિર્ણયોની અસર ગુજરાતને થઇ છેઃ કોંગ્રેસ
ગુજરાતમાં ભાજપ સરકારના અવિચારી નિર્ણયોની અસરો હજુ પણ દેખાઈ રહી છે. મોરબી દુર્ઘટના એક દુઃખદ દુર્ઘટના હતી, આ પ્રમાણેની દુર્ઘટનામાં ૧૪૮ નિર્દોષ લોકોના મૃત્યુ થયા હોય અને ૧૮૦ થી વધારે ઘાયલ થયા હોય છતાં પણ કોઈનું રાજીનામું પણ નહીં અને કોઈની જવાબદારી પણ નક્કી કરવામાં આવેલ ન હોવાનું કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો.
હાઈકોર્ટ રોજ સવારે મોરબી દુર્ઘટના બાબતે ફટકાર લગાવે છે પરંતુ ટીકીટ ચેકર, સીક્યોરીટી અને નટબોલ્ડ ફિલ્ટ કરવાવાળાને પકડીને મોટા લોકો - પુંજીપતિઓને બચાવવામાં આવી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. શા માટે જવાબદારોની ધરપકડ થતી નથી ? આ એક અજ્ઞાનતા અને અહંકારનું મિશ્રણ છે. આ અહંકારી સરકાર એમ માને છે કે અમે કઈપણ કરીશું તો અમારો કોઈ વાળ વાંકો નહી કરી શકે. ગુજરાતની જનતાએ આ અહંકાર તોડવાની જરૂર છે.
વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, ૨૦૧૭ થી આજસુધી ત્રણ મુખ્યમંત્રી બદલવામાં આવ્યાં અને મંત્રીમંડળ પણ સમુળગું બદલવામાં આવ્યું. કોરોનાની અંદર સૌથી વધારે જો કોઈ રાજ્યએ સહન કરવામાં આવ્યું હોય તો તે ગુજરાત રાજ્ય છે. ગુજરાતનું દેવુ ૨.૯૯ કરોડનું છે. ગુજરાતની આવકના ૧૮.૪ ટકા તો માત્ર ઉપરોક્ત દેવાના વ્યાજ પેટે હપ્તામાં વપરાઈ જાય છે. ગુજરાતમાં ભ્રષ્ટાચારે માજા મુકી છે.
ગુજરાતની છ કરોડની જનતા મંદી, મોંઘવારી અને બેરોજગારીમાં પીસાઈ રહી છે ત્યારે ભાજપ સરકાર મુદ્દાઓથી ધ્યાન ભટકાવી રહી છે. શા માટે સરકાર અને વડાપ્રધાનશ્રી ગુજરાતની અઢી દાયકાની સરકારના વિકાસની વાતો કરતા નથી અને મુદ્દાઓને ભટકાવી રહ્યાં છે. ત્યારે, રાજ્યના નવનિર્માણ માટે ભાજપના કુશાસનને ફગાવી કોગ્રેસની સરકાર બનાવવા ગુજરાતે મન બનાવી લીધું હોવાનો કોંગ્રેસે દાવો કર્યો હતો.