અરવિંદ કેજરીવાલે રાજકોટમાં કહ્યુ - હારના ડરથી ભાજપ કરાવી રહી છે હુમલા
ગુજરાત ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી સક્રિય સ્થિતિમાં જોવા મળી રહી છે.
રાજકોટઃ ગુજરાત ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી સક્રિય સ્થિતિમાં જોવા મળી રહી છે. શનિવારે આમ આદમી પાર્ટીનાના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ગુજરાતના રાજકોટમાં ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો હતો. આ દરમિયાન કેજરીવાલ લોકોને તેમની ચૂંટણી ગેરંટીઓ સમજાવતા જોવા મળ્યા હતા. આ પ્રચાર દરમિયાન અરવિંદ કેજરીવાલ મહિલાઓને પણ મળ્યા હતા.
મહિલાઓને AAPથી આશા
આ દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, 'લોકોમાં ઘણો ઉત્સાહ છે, તેમની સામે એક નવી પાર્ટી આવી છે જે લોકોના મુદ્દા પર વાત કરી રહી છે. મહિલાઓને ઘણી આશા છે કે જે તેમને અત્યાર સુધી જે નથી મળ્યુ તે હવે મળશે. દર મહિને 1000 રૂપિયા આપવાના અમારા વચનથી તેઓ ખૂબ જ ખુશ છે.' તેમણે વધુમાં કહ્યુ કે, 'જો અમારી સરકાર બનશે તો અમે અમારી તમામ ગેરંટી ચોક્કસપણે પૂરી કરીશુ. લોકો આને લઈને ખૂબ જ ઉત્સાહિત છે'.
ભાજપને દેખાઈ રહી છે હાર - કેજરીવાલ
સીએમ કેજરીવાલે કહ્યુ કે અમને ગુજરાતમાંથી ઘણો પ્રેમ અને વિશ્વાસ મળી રહ્યો છે. જ્યારે તક મળશે ત્યારે હું તેને પરત કરવામાં કોઈ કસર છોડીશ નહિ. કેજરીવાલે સુરતમાં આમ આદમી પાર્ટીના પદાધિકારી મનોજ સોરઠિયા પર હુમલાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યુ કે ગુજરાતના લોકો આ હુમલાથી નારાજ છે. આ હુમલો દર્શાવે છે કે ભાજપ ખૂબ જ બેચેન છે. તેઓ હાર જોઈ રહી છે. અમે તેમની આ ગુંડાગીરીથી ડરવાના નથી. તેમની સામે મક્કમતાથી લડીશુ. કેજરીવાલે વધુમાં કહ્યુ કે, અમારી પાસે પૈસા નથી. હું ભાજપના કાર્યકરોને અપીલ કરુ છુ કે તેઓ ભાજપ પાસેથી પૈસા લઈને આમ આદમી પાર્ટી માટે કામ કરે. જો આપની સરકાર આવશે તો તમને મફત વીજળી, સારી શાળા અને મફત સારવાર મળશે.
એક્ટીવ મોડમાં પાર્ટી
આ અગાઉ આમ આદમી પાર્ટીના ગુજરાત એકમે તાજેતરમાં રાજ્યમાં લગભગ 2,100 લોકોની નિમણૂક કરી હતી અને તેમને પાર્ટી સંગઠનમાં વિવિધ જવાબદારીઓ આપી હતી. ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. 1,111 નવા 'સોશિયલ મીડિયા વોરિયર્સ'ને પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા હતા. જેમની જવાબદારી પક્ષના કાર્ય અને વિચારધારાને આગળ ધપાવવાની છે.