નર્મદા જિલ્લામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલે 5100 વૃક્ષોનુ વૃક્ષારોપણ કરાવ્યુ
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના લાછરસ ગામ ખાતે ભાજપ દ્વારા 5100 વૃક્ષોનુ વૃક્ષારોપણ કરવામાં આવ્યુ.
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના લાછરસ ગામ ખાતે ભાજપ દ્વારા 5100 વૃક્ષોનુ વૃક્ષારોપણ કરવામાં આવ્યુ. ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી સ્મૃતિવન ખાતેના આ કાર્યક્રમમાં ભાજપ આગેવાનો અને કાર્યકરો દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલનુ સ્વાગત કરાયા બાદ તેમણે કદમના વૃક્ષનુ રોપણ કરીને વૃક્ષારોપણની શરૂઆત કરાવી હતી. સીઆર પાટિલે જણાવ્યુ હતુ કે મે સંકલ્પ કર્યો છે કે હું જે પણ ગામમાં જઉ ત્યાં 300 વૃક્ષો વાવવા માટે પ્રયત્ન કરુ છુ.
કાર્યક્રમમાં સીઆર પાટિલે વધુમાં જણાવ્યુ હતુ કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ વૃક્ષારોપણ પર ભાર મૂકવામાં આવતો હતો. દરેક ગ્રામજનોએ મળીને વૃક્ષો રોપવા જોઈએ અને તેની માવજત કરવી જોઈએ જેનાથી ગામને ખૂબ ફાયદો થશે. અહીં 11000 વૃક્ષોનો સંકલ્પ કરીને 5100 વૃક્ષો રોપવામાં આવ્યા છે. હું લોકોને ખૂબ અભિનંદન આપુ છુ. ગુજરાતના પાંચ સાંસદોને મંત્રીપદ મળ્યુ છે માટે કોઈની પાસે ગુજરાતના લોકોને જવાની જરૂર નહિ પડે.
ગુજરાતના સાંસદોને મંત્રી બનાવ્યા છે તેનો વિધાનસભા ચૂંટણીમાં ફાયદો થશે. આપના લોકો બણગા ફૂંકે છે. ગુજરાતમાં 40 લાખ વિદ્યાર્થીઓ ભણે છે જ્યારે દિલ્લીમાં 13 લાખ વિદ્યાર્થીઓ ભણે છે. કાર્યક્રમમાં સાંસદ ગીતાબેન રાઠવા, સાંસદ મનસુખભાઈ વસાવા, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવકતા ભરતભાઈ ડાંગર, નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા, નર્મદા જિલ્લાના કાર્યકર્તાઓ, ચૂંટાયેલા પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા.