ભાજપની વાત હતી ખેડૂતની આવક બમણી કરવાની પરંતુ ખેડૂતના દેવા બમણા થયા : તેજસ વાછાણી
યુથ કોંગ્રેસના પ્રવક્તા તેજસ વાછાણીએ ખેડૂતની આવક બમણી થઈ હોવાના સરકારના દાવાને લઈ સરકાર પર નિશાન સાધ્યુ છે.
યુથ કોંગ્રેસના પ્રવક્તા તેજસ વાછાણીએ ખેડૂતની આવક બમણી થઈ હોવાના સરકારના દાવાને લઈ સરકાર પર નિશાન સાધતા કહ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ 2016માં પ્રથમ વખત કહ્યુ કે અમે ખેડૂતની આવક 2022 સુધીમાં બમણી કરી દઈશુ. આજે 2022 આવવામાં થોડાક મહિનાઓ બાકી છે ત્યારે ખેડૂત ભાજપ સરકારને સવાલ પૂછી રહ્યો છે કે ક્યારે આવક બમણી થશે? થોડાક દિવસ પહેલા NSSO(નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ)ના સર્વેમાં સામે આવ્યુ કે જુલાઈ 2018થી જુલાઈ 2019ની વચ્ચે ખેડૂતની આવક માત્ર ખેતીકામથી રોજના 27 રૂપિયા છે. જો ખેડૂત ખેતી કામની સાથે મજૂરી, પશુપાલન જેવા બીજા કામ કરે તો એ મહિને માત્ર 10218 રૂપિયા કમાય છે એટલે કે મોટા શહેરમાં જેટલુ ઘરેલુ કામદાર કમાય છે એટલુ ખેડૂત ખેતી સાથે અન્ય આવકના સ્તોત્ર ઉભા કરે તો કમાય.
આ આંકડાઓ કોરોના આવ્યો અને લોકડાઉન થયુ તે પહેલાના છે. આનાથી તમે વિચારી શકો છો કે કોરોના કાળ અને લોકડાઉન દરમિયાન ખેડૂતો કેટલી આર્થિક સંકડામણમાંથી નીકળ્યા હશે. સરકાર પાસે વર્ષ 2020-21ના કોઈ આંકડાઓ ઉપલબ્ધ નથી ભાજપ ચૂંટણીઓ માટે સર્વે કરાવી શકે છે તો ખેડૂતની સ્થિતિનો સર્વે કેમ સમય પર નથી કરી શકતી? NSSOના સર્વેમાં ખેડૂતના દેવા પર કહેવામાં આવ્યુ છે વર્ષ 2012-13માં ખેડૂત પર 47000નુ દેવુ હતુ જે વધીને વર્ષ 2018-19 મા 74000 હજાર થઈ ગયુ એટલે કે આવક બમણીના બદલે દેવુ બમણુ થઈ રહ્યુ છે જ્યારે ખેડૂત દેવા માફીની વાત કરે ત્યારે સરકાર બહાનાબાજી કરે છે. ભાજપ સરકાર ઉદ્યોગપતિઓના દેવા માફ કરે છે પણ દેશની GDPમાં જેનો 19.9% જેટલો ભાગ છે એ ખેડૂત દેવા માફીની વાત કરે તો સરકાર કાનમાં રૂ નાખીને બેસી જાય છે. ગુજરાતની ભાજપ સરકારે એક વાર સંપૂર્ણ દેવુ માફ નથી કર્યુ.