ભાજપ 30 ઑક્ટોબરથી ઉમેદવારો ફાઇનલ કરશે
ભાજપ ૩૦મી ઓક્ટોબરથી સતત પાંચ દિવસ સુધી પાર્ટીના પાર્લામેન્ટરી બોર્ડની બેઠકો યોજવાની છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાનારી બેઠકોમાં ઉમેદવારોના નામો ફાઈનલ કરેલી યાદી મંજૂરી માટે દિવાળી પહેલાં દિલ્હી મોકલવામાં આવશે. ભાજપ તેની જિલ્લા સંકલન સમિતિઓ સાથે પણ ચર્ચા કરીને નિરીક્ષકોનો રિપોર્ટ પાર્લિઆમેન્ટ્રી બોર્ડમાં રજૂ કરશે
સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપના પ્રદેશ પ્રમુખ આર સી ફળદુના અધ્યક્ષપદવાળા પાર્લિઆમેન્ટ્રી બોર્ડમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત ચાર પ્રધાનો વજુભાઈ વાળા, આનંદીબહેન પટેલ, રમણ વોરા તથા મંગુભાઈ પટેલ, સાંસદ જયશ્રીબહેન પટેલ તેમજ પાંચ મહામંત્રીઓ સહિત કુલ ૧૩ સભ્યોનો સમાવેશ થાય છે.
આ બોર્ડ સતત પાંચ દિવસ સુધી બેઠકવાર ઉમેદવાર નિશ્ચિત કરતા અગાઉ ફરજિયાત પ્રમાણે નિરીક્ષકો સહિત જિલ્લા પ્રમુખો, મહામંત્રીઓ તથા અન્ય આગેવાનોને બોલાવીને તેમના મંતવ્યો જાણશે. ઘણા આગેવાનો, કાર્યકરો રજૂઆતમાંથી બાકાત રહ્યાં છે, જેમને તક મળશે કે કેમ તે પ્રશ્ન છે.