Breaking News: કોંગ્રેસે જામનગરથી મુળુભાઈ કંડોરીયાને આપી ટિકિટ
લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો જ આડા છે, આજે કોંગ્રેસે પોતાનો મેનિફેસ્ટો પણ જાહેર કરી દીધો છે.
લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો જ આડા છે, આજે કોંગ્રેસે પોતાનો મેનિફેસ્ટો પણ જાહેર કરી દીધો છે. બીજી બાજુ કોંગ્રેસની ઈલેક્શન કમિટીની આજે બેઠક મળી હતી. આ બેઠકમાં બાકી રહેલી 12 બેઠક પર કયા ઉમેદવારને ઉતારવા તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. થોડી વારમાં જ બારેય ઉમેદવારોના નામ સામે આવી શકે છે. અંગત સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અત્યારે 4 ઉમેદવારોના નામ નક્કી થઈ ગયાં છે.
સૂત્રો મુજબ જામનગરથી મુળુભાઈ કંડોરિયાના નામ પર મહોર મારવામાં આવી છે. જ્યારે અમરેલીથી પરેશ ધાનાણી, ગાંધીનગરથી સી.જે. ચાવડા અને સુરેન્દ્ર નગરથી ગાંડા પટેલના નામ પર મહોર મારવામાં આવી છે. ટૂંક સમયમાં જ કોંગ્રેસ દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે જામનગર સીટ પરથી મુળુભાઈ સામે ભાજપના પૂનમબેન માડમ ચૂંટણી મેદાનમાં ઉતર્યાં છે.
કોણ છે મુળુભાઈ કંડોરીયા?
54 વર્ષીય ખેડૂત પુત્ર મુળુભાઈ કંડોરીયા રાજકારણીની સાથે વ્યવસાયે ખેડૂત અને લેન્ડ ડેવલોપર છે. તેમણે જામનગરની ડીકેવી કોલેજમાંથી BA ઈકોનોમિક્સનો અભ્યાસ કર્યો છે. માત્ર ખેતી ક્ષેત્રે જ નહિ પણ જામનગરમાં શિક્ષણ ક્ષેત્રે પણ મુળુભાઈનું સારુંએવું પ્રદાન રહ્યું છે. જ્યારે એક બાજુ શિક્ષણને લોકોએ ધંધો બનાવી દીધો છે ત્યારે બીજી બાજુ મુળુભાઈ કંડોરીયા એવા માતા-પિતા માટે વરદાનરૂપ સાબિત થયા છે જેઓ પોતાના બળકોના શિક્ષણ માટે ઉંચી ફી ન ચૂકવી શકતા હોય. જણાવી દઈએ કે મુળુભાઈની શાળામાં ભણતા કોઈપણ બાળકના વાલી ફી ચૂકવી શકે તેમ ન હોય તો મુળુભાઈ તેવા વાલીઓને ફીમાં રાહત આપે છે. જણાવી દઈએ કે મુળુભાઈના નામ પર મોહર લાગી હોવાની હજુ સત્તાવાર રીતે જાહેરાત નથી થઈ, ટૂંક સમયમાં જ કોંગ્રેસ પાર્ટી દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવશે.