સીએમના અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક યોજાઈ, અમૃત ૨.૦ મિશન મુદ્દે ચર્ચા થઈ!
મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. રાજ્ય ભરની ૧૪રપ૦ ગ્રામ પંચાયતોમાં આગામી ગાંધી જયંતિએ ખાસ ગ્રામસભા યોજાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ગાંધી જયંતિથી પ્રારંભ થનારા રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા અભિયાન કલીન ઇન્ડીયા અને અમૃત ૨.૦ મિશનના અભિયાનના ગુજરાત રાજયમાં આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
આ અંગે રાજ્ય સરકાર તરફથી કહેેવામાં આવ્યુ છે કે, મહાત્મા ગાંધીજીના ગ્રામ સ્વરાજ અને ગ્રામોત્થાનના વિચારને વધુ ઉન્નત સ્તરે મૂર્તિમંત કરવાના ઉદ્દેશ્યથી ર ઓકટોબરે રાજ્યભરની ૧૪,રપ૦ ગ્રામ પંચાયતોમાં સવારે ૧૦ થી ૧૧ વાગ્યા દરમ્યાન ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ગ્રામસભાઓ અંતર્ગત બનાસકાંઠાના પાલનપૂર તાલુકાની પીપલી ગ્રામ પંચાયતની ગ્રામસભામાં જલ જીવન મિશન અમલીકરણ અંગે સીધો સંવાદ કરશે.
વડાપ્રધાન સવારે ૧૧ કલાકે ગ્રામસભાઓને સંબોધન કરી માર્ગદર્શન આપશે અને તેનું જીવંત પ્રસારણ ગ્રામ પંચાયતોમાં થશે, આ આયોજન રાજ્યના પંચાયત-ગ્રામવિકાસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.
બીજી તરફ ગુજરાતમાં સપ્ટેમ્બર-ર૦રર સુધીમાં જલ જીવન મિશનનો લક્ષ્યાંક પૂર્ણ કરવા પણ રાજ્ય સરકારે જણાવ્યું છે. હાલ રાજ્યમાં ૯ર.૯ર લાખ ઘર સામે ૮૧.૪૧ લાખ ઘર એટલે કે ૮૭.૬ ટકા ઘરોનું નળ જોડાણ પૂર્ણ થઇ ગયુ છે, બાકી રહેલા ઘરોમાં આગામી ૧ વર્ષમાં જોડાણ પૂર્ણ કરવાની પણ રાજ્ય સરકારે જાહેરાત કરી છે.
ગ્રામસભાના એજન્ડા અંગે વિગતો આપતાં રાજ્યના પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે, વિલેજ એકશન પ્લાન, હર ઘર જલ, પાણીના ઉપલબ્ધ સ્ત્રોત, પાણી સમિતી પાણીની ગુણવત્તા વગેરે અંગે પણ ચર્ચા-વિમર્શ અને માર્ગદર્શન અપાશે. તેમણે જણાવ્યું કે, પૂજ્ય બાપૂના સ્વચ્છતા ત્યાં પ્રભૂતાના સંદેશને આત્મસાત કરતાં સમગ્ર દેશમાં જે કલીન ઇન્ડીયા કાર્યક્રમનો પ્રારંભ થવાનો છે તેનો પણ ગુજરાતના વિવિધ ગામો-નગરોમાં જનભાગીદારીથી પ્રારંભ કરાશે. આ ઉપરાંત ગ્રામસભાઓમાં જલ જીવન મિશન, સ્વચ્છતા અંગે જનજાગૃતિ, કોવિડ-19 વેક્સિનેશન માટે જનજાગૃતિ અને વતન પ્રેમ યોજના સહિત ૧પમાં નાણાપંચની કુલ ૫૫૫૭ કરોડની ગ્રાન્ટમાંથી કરવાના થતા કામો અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
કલીન ઇન્ડીયા કાર્યક્રમ અન્વયે ગ્રામ્યકક્ષાએ પાણીજન્ય તથા મચ્છરજન્ય રોગોથી બચવા માટે જરૂરી રોગનિવારક પગલાં અને સમગ્ર ઓકટોબર મહિના દરમ્યાન દરેક ગામોમાં સફાઇ ઝૂંબેશ મહાઅભિયાન હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમં કચરાના ડોર-ટુ-ડોર એકત્રિકરણ ઝૂંબેશ દ્વારા જિલ્લા દીઠ અંદાજિત એવરેજ ૧૧ હજાર કીલો કચરો, ગામ દીઠ અંદાજિત એવરેજ ૩૦ કિલો કચરો એકત્ર કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવશે.
૧ લી અને ર ઓકટોબરે રાજ્યમાં શાળા, કોલેજ, એનએસએસ છાત્રો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સરકારના અધિકારી-કર્મચારીઓ જાહેર સ્થળોએ સફાઇ ઝૂંબેશ, પ્લોગીંગ ડ્રાઇવ ઉપાડશે. એટલું જ નહિ, મહાનગરો અને નગરોમાં તમામ કચેરીઓમાં સ્વચ્છતા શપથ પણ લેવડાવાશે. કલીન ઇન્ડીયા કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના નિકાલ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે અને તેનો પૂન: ઉપયોગ અને વપરાશ ઘટાડવા અંગે જનજાગૃતિ કેળવવામાં આવશે. આ જનભાગીદારી ઝૂંબેશ અન્વયે ગામડા, નગરો, મહાનગરોમાં પરંપરાગત જળસ્ત્રોતોની જાળવણી માટે પાણીની ટાંકીઓ, કૂવાઓ જળાશયોની સફાઇ હાથ ધરાશે.
આ કલીન ઇન્ડીયા કાર્યક્રમમાં ગામડાઓના બ્યૂટિફિકેશનના કામો પણ લોકભાગીદારીથી હાથ ધરવામાં આવશે. તે ઉપરાંત સ્મારકો, ધરોહર સ્થળો, સમુદાય કેન્દ્રો, શાળા, પંચાયત વગેરેની ઇમારતોની જાળવણી અને બ્યૂટિફિકેશનના કામો હાથ ધરાશે.
૧ ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'અમૃત ૨.૦ મિશન' નો પણ દેશભરમાં શુભારંભ કરવાના છે ત્યારે ગુજરાત રાજ્ય અમૃત ૧.૦ મિશન માં ૮૦.૭૫ ગુણાંક સાથે ત્રીજા ક્રમાંકે રહ્યું છે. અમૃત ૨.૦ યોજનાનો હવે પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ યોજના અંતર્ગત ગુજરાતના ૩૧ અમૃત શહેરોમાં ભૂગર્ભ ગટર યોજનાના કામો અને રાજ્યના તમામ શહેરોમાં પાણી પુરવઠાના કામો કરવામાં આવશે.
અમૃત ૨.૦ મિશન હેઠળ તમામ અર્બન લોકલ બોડી (શહેરી સત્તા મંડળ) અંતર્ગત આવતા ઘરોને નળથી પાણી આપવા, ૩૧ અમૃત શહેરોમાં ઘરોને સુએજ/સેપ્ટેજ કનેક્શન આપવા, જળાશય અને કુવાઓનો જીર્ણોદ્ધાર ઉપરાંત વોટર સિક્યુરિટી, અર્બન પ્લાનિંગ અને માર્કેટ ફાઇનાન્સ મોબિલાઇઝેશન જેવા રિફોર્મ લાગુ કરવામાં આવશે.
આ સમગ્ર અમૃત ૨.૦ મિશન પેપરલેસ અને ડિજિટલ રહેશે. શહેરી સત્તામંડળો વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા ઊભી કરવા માટે અમૃત સિટિઝનો પે જલ સર્વેક્ષણ કરવામાં આવશે. જળ સંરક્ષણ માટે જનઆંદોલન ઊભું કરાશે. અમૃત ૨.૦ મિશન અંતર્ગત વિવિધ કામો કરવા લોકલ અને ગ્લોબલ ઇનોવેટિવ ટેકનોલોજી ધરાવતા સ્ટાર્ટ અપ સાથે ભાગીદારી પણ કરવામાં આવશે.
રાજ્ય સરકારના પ્રવકતા મંત્રીઓએ ઉમેર્યુ કે, પ્રધાનમંત્રીના ખાદી ફોર નેશન-ખાદી ફોર ફેશનના મંત્રને સાકાર કરવા અને ખાદી વણાટ સાથે સંકળાયેલા ગ્રામીણ પરિવારોની આર્થિક સ્થિતિને સક્ષમ બનાવવા ગુજરાતમાં આ વર્ષે ગાંધી જયંતિ ર ઓકટોબરથી ૩૧ ઓકટોબર દરમ્યાન ર૦ ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય અપાશે. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં ખાદી ઉત્પાદન અને પોલિવસ્ત્ર ઉત્પાદન સહિતની ખાદી કામગીરી સાથે જોડાયેલા અંદાજે ૧ર હજાર જેટલા કારીગરોને આના પરિણામે આર્થિક આવક વૃદ્ધિનો લાભ મળશે.