કેન્દ્રએ STના ડીઝલમાં 12 રૂપિયાનો વધારો ઝીંક્યો : નીતિન પટેલ
તેમણે જણાવ્યું છે કે ડીઝલના ભાવમાં 50 પૈસા લીટર દીઠ ભાવ વધારવા કેન્દ્ર સરકારે કરેલી જાહેરાત સદંતર છેતરામણી સમાન છે. કારણ કે ઇન્ડિઅન ઓઇલ કોર્પોરેશને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની એસ.ટી.બસો અને અમદાવાદની એ.એમ.ટી.એસ., બી.આર.ટી.એસ. શહેરી બસ સેવાઓને ડીઝલ માટેના બલ્ક કન્ઝયુમર્સની શ્રેણીમાં મૂકીને એસ.ટી.બસોને માટે ડીઝલ ખરીદીમાં લીટર દીઠ રૂપિયા 12નો વધારો ઝીંકી દીધો છે, જેનાથી જી.એસ.આર.ટી.સી. એકલા પર વર્ષે રૂપિયા 326 કરોડ અને શહેરી બસ સેવા પર રૂપિયા 25 કરોડનો અસહય નાણાંકીય બોજ વેઠવા વારો આવ્યો છે.
સરવાળે આના પરિણામે એસ.ટી. બસોની અને શહેરી બસ સેવાઓની મુસાફરી કરતી કરોડો સામાન્ય જનતા પર વેઠવા વારો આવશે, એમ વાહનવ્યવહાર મંત્રીએ સ્પષ્ટપણે ઉમેર્યું હતું. તેમણે જણાવ્યું કે મોંઘવારીના ત્રાસમાંથી જનતાને રાહત આપવાની ભારત સરકારની નિષ્ફળ નીતિઓના પરિણામે ભાવવધારાનું દુષ્ચક્ર વધુ ઝડપથી ફરતું જ રહયું છે અને પેટ્રોલ ડીઝલ સી.એન.જી. જેવા પરિવહન સેવાઓના ઇંધણમાં કેન્દ્ર સરકારની બેવડી નીતિ ઉઘાડી પડી ગઇ છે.
જાહેરમાં કેન્દ્ર સરકાર ડીઝલમાં લીટર દીઠ 50 પૈસાનો નજીવો વધારો બતાવે છે પરંતુ પાછલા બારણેથી ગુજરાતની એસ.ટી. અને શહેરી બસોને બલ્ક કંઝયુમર્સ ગણીને ઓઇલ કંપનીઓના મનઘડંત ભાવ વધારાનો અસહય બોજ ઝીંકી દીધો છે.
દરરોજ અંદાજે 24 લાખની સંખ્યામાં એસ.ટી. અને એ.એમ.ટી.એસ. બસોમાં મુસાફરી કરનારા 3 લાખ મુસાફરો મળી 27 લાખ જેટલા મુસાફરોની મુસાફરી ડીઝલમાં લીટર દીઠ રૂપિયા 12ના અભૂતપૂર્વ વધારાને કારણે મોંઘી બનશે અને તેના માટે ગુજરાતની જનતાના ઉગ્ર રોષના પરિણામો ભોગવવાની જવાબદારી ભારત સરકારની રહેશે એમ નીતિનભાઇ પટેલે જણાવ્યું છે.
તેમણે એસ.ટી. બસોને બલ્ક કંઝયુમર્સમાં ગણવાની ઓઇલ કંપનીઓની ગુસ્તાખી સામે ભારત સરકાર તાકીદે દરમિયાન થઇને પુનઃવિચારણા કરે તેવી સ્પષ્ટ માંગણી કરી છે.