કોરોનાવાયરસના વધતા કહેર વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક કરી
કોરોનાવાયરસના વધતા કહેર વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક કરી
ઓમિક્રોન વેરિયન્ટ સામે આવ્યા બાદ ફરી એકવાર કોરોનાવાયરસે સમગ્ર વિશ્વને ચિંતામાં નાખી દીધું છે. દરરોજ સતત વધી રહેલા કેસને પગલે નાગરિકોનાં સ્વાસ્થ્ય જોખમાયાં છે. ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી દરરોજ સતત 4 હજારથી વધુ કોરોનાના કેસ સામે આવતાં રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. સુરત અને અમદાવાદમાં ખાસ કરીને કોરોનાવાયરસના સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. ત્યારે ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી આ સમીક્ષા બેઠક પૂર્ણ થયા બાદ કડક પ્રતિબંધો લાદવામાં આવી શકે છે.
જણાવી દઈએ કે વીડિયો કોન્ફરન્સમાં 11 જિલ્લાના કલેક્ટર્સ અને કમિશનરો પણ જોડાયા છે. આ બેઠક બાદ સ્થાનિક તંત્ર આકરા નિર્ણયો લઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે ગતરોજ ગુજરાત સરકારે કોરોનાવાયરસના વધતા કેસને ધ્યાનમાં રાખીને વાઈબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ રદ્દ કરી દીધો હતો, પછી સરકારના આદેશ બાદ અમદાવાદ કોર્પોરેશને પણ ફ્લાવર શો અને પતંગ મહોત્સવ રદ્દ કરી દીધો હતો. ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ રદ્દ થયા બાદ 15 જાન્યુઆરી સુધીના પોતાના તમામ સરકારી કાર્યક્રમો રદ્દ કરી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાવાયરસના વધતા કહેરને પગલે આજે ગુજરાત હાઈકોર્ટે પણ ફિઝિકલ હિયરિંગ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આવતા સોમવારથી ગુજરાત હાઈકોર્ટમાં માત્ર વર્ચ્યુઅલ હિયરિંગ જ થશે અને હાઈકોર્ટમાં આવેલ વકીલોની કેબિનો પણ બંધ કરી દેવામાં આવી છે.
ગુજરાતમાં કોરોનાવાયરસની સ્થિતિ
જો રાજ્યમાં કોરોનાવાયરસની સ્થિતિની વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં 14346 એક્ટિવ કેસ છે, 29 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 14317 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8 લાખ 20 હજાર 383 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે અને સરકારી આંકડાઓ મુજબ કુલ 10123 લોકોનાં મૃત્યુ થઈ ચૂકયાં છે. કાલે અમદાવાદમાં સૌથી વધુ 1835 નવા કેસ નોંધાયા હતા અને સુરતમાં 1105 કેસ નોંધાયા હતા.