ગુજરાતના વાતાવરણમાં પલટો, વરસાદી છાંટા પડતા ખેડૂતોની વધી ચિંતા, 25 મેએ વરસાદની આગાહી
રાજ્યના ઘણા જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો છે જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, વાપી, પાટણ, જેતપુરનો સમાવેશ થાય છે.
અમદાવાદઃ રાજ્યના ઘણા જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો છે જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, વાપી, પાટણ, જેતપુરનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં સવારથી જ આકાશમાં કાળા વાદળો જોવા મળી રહ્યા છે. જ્યારે વલસાડમાં વરસાદી છાંટા પણ પડ્યા છે. રાજ્યમાં પ્રિમોન્સુન એક્ટિવિટી સક્રિય હોવાથી ભેજના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજસ્થાનમાં ચોમાસુ ખેંચી લાવતી થર્મલ લો સિસ્ટમ રચાતા વાતાવરણમાં પલટો આવ્યો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. રાત્રિ દરમિયાન સુરતના અમુક વિસ્તારોમાં વરસાદ થયો. નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં પણ વાદળછાયુ વાતાવરણ રહ્યુ. 25મેના રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી હતી પરંતુ હવે તેને પરત ખેંચી લીધી છે. તેમછતાં રાજ્યમાં છૂટાછવાયા વરસાદી છાંટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. દક્ષિણ ગુજરાત સાથે પાટણ, સિદ્ધપુર, રાધનપુર, સરસ્વતી સહિતના તાલુકાઓમાં વાતાવરણ વાદળછાયુ બન્યુ છે. જેના કારણે લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે પરંતુ વાતાવરણમાં પલટાથી બાજરી, એરંડા જુવાર સહિતના પાકોને નુકશાન થવાની ભીતિ છે.
રાજ્યમાં આ વખતે સામાન્ય ચોમાસુ રહે એમ માનવામાં આવી રહ્યુ છે. કેરળમાં 26 મેથી ચોમાસાનુ આગમન થઈ શકે છે. આ સ્થિતિમાં દક્ષિણ ગુજરાતમાં 10થી 15 જૂન વચ્ચે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનુ આગમન થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ નૈઋત્યુના ચોમાસાએ ભારતમાં આગમન કરી લીધુ છે. પ્રીમોન્સુન એક્ટિવિટીના ભાગરુપે કેરળ, કર્ણાટક, કર્ણાટકના દરિયાઈ વિસ્તાર તેમજ મેઘાલય, આસામ, અરુણાચલ પ્રદેશમાં વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં ગયા વર્ષે ચોમાસામાં 32.56 ઈંચ સાથે સરેરાશ 98.48 ટકા વરસાદ નોંધાયો હતો.