ગુજરાતમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને મંજૂરી, 53 લાખ ખેડૂતો મેળવશે લાભ
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુરુવારે વર્ષ 2021 માટે મુખ્યમંત્રી કિસાન યોજનાને મંજૂરી આપી
ગાંધીનગરઃ ગુજરાતમાં હાલમાં જ આવેલા તાઉતે વાવાઝોડાએ રાજ્યના ખેડૂતોના હાલ બેહાલ કરી દીધા છે. તાઉતે વાવાઝોડાએ કોરોના મહામારી બાદ રાજ્યના ખેડૂતોની કમર તોડી દીધી છે. ખેડૂતોને અનાવૃષ્ટિ, દુષ્કાળ, અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ અને માવઠા જેવા જોખમોને આવરી લેતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુરુવારે વર્ષ 2021 માટે મુખ્યમંત્રી કિસાન યોજનાને મંજૂરી આપી જેમાં રાજ્યના આશરે 53 લાખ ખેડૂતોને લાભ મળશે. યોજના મુજબ ખેડૂતો કે જેમના ખરીફ પાકને નુકશાન થયુ છે તેમને નાણાકીય સહાય કરવામાં આવશે.
વળી, જે ખેડૂતોને ચાર હેક્ટરની સીમામાં 33 થી 60 ટકા પાકને નુકશાન થયુ છે તેમને હેક્ટર દીઠ 20 હજાર રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવશે. આ ઉપરાંત જે ખેડૂતોના પાકને 60 ટકાથી વધુ નુકશાન થયુ છે તેમને હેક્ટર દીઠ 25 હજાર રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ કે કોઈ પણ પ્રકારનુ પ્રીમિયમ ભર્યા વિના ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. વનબંધુ(આદિવાસી)ના વન સંરક્ષણ કાયદા હેઠળ સનદ ધરાવતા ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળશે.
સરકાર દ્વારા એ પણ માહિતી આપવામાં આવી કે ટૂંક સમયમાં એક વેબ પોર્ટલ શરૂ કરવામાં આવશે જે આ યોજના માટે અરજીઓ મેળવવા માટે સમર્પિત હશે. આ અરજીઓ ઈ-ગ્રામ કેન્દ્રો દ્વારા ફાઈલ કરી શકાશે. આ અરજીઓ ફાઈલ કરવાનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. યોજના સંબંધિત ખેડૂતોના પ્રશ્નોના નિવારણ માટે ટૂંક સમયમાં ટોલ ફ્રી નંબરની પણ જાહેરાત કરવામાં આવશે. સરકારે માહિતી આપી કે આ યોજના રાજ્ય આપત્તિ પ્રતિક્રિયા દળની જોગવાઈ હેઠળ આપવામાં આવતા આર્થિક સહાય ઉપરાંતની છે.