CM વિજય રૂપાણીએ નારદની સરખામણી કરી ગુગલ સાથે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પૌરાણિક કથાઓના પાત્ર મહર્ષિ નારદની સરખામણી ઇન્ટરનેટ સર્ચ એન્જિન ગૂગલ સાથે કરી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પૌરાણિક કથાઓના પાત્ર મહર્ષિ નારદની સરખામણી ઇન્ટરનેટ સર્ચ એન્જિન ગૂગલ સાથે કરી છે. આરએસએસની પેટા શાખા સમાન વિશ્વ કેન્દ્ર દ્વારા દેવર્ષિ નારદ જયંતિના અવસર પર યોજાયેલા કાર્યક્રમમાં બોલતી વખતે વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે નારદ એક એવા વ્યક્તિ હતા, જેમની પાસે પૂરી દુનિયાની જાણકારી હતી. મહર્ષિ નારદને દુનિયાભરની જાણકારી હોય છે તેમ વર્તમાનમાં ગૂગલ પર દુનિયાભરની માહિતી પ્રદાન કરે છે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગૂગલ પણ મહર્ષિ નારદની જેમ માહિતીનો ભંડાર છે. ગૂગલ પર દુનિયાભરની તમામ ઘટનાઓની માહિતી છે. હવે ફરીથી ભાજપના ટોચના નેતાઓના વિવાદિત નિવેદનો સાંભળવા મળી રહ્યા છે.. જેમાં, હવે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ જંપલાવ્યું છે. અગાઉ ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ દેબ પણ પોતાના નિવેદનોને કારણે ખૂબ ચર્ચામાં છે. તેમણે પણ પૌરાણિક કાળમાં ઈન્ટરનેટની સુવિધા હોવા અંગે નિવેદન આપ્યું હતું.

ભાજપના નેતાઓ વિવાદિત નિવેદનોના કારણે પક્ષને ક્ષોભજનક સ્થિતિ
એક તરફ ભાજપના નેતાઓ વિવાદિત નિવેદનોના કારણે પક્ષને ક્ષોભજનક સ્થિતિમાં મુકી રહ્યા છે. ત્યારે, તાજેતરમાં ત્રિપુરાના મુખ્યપ્રધાન બિપ્લવ દેવને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓછુ બોલવાની સલાહ આપી હોવાનું ભાજપના નેતાઓએ જ જણાવ્યું છે. ખુબ ઓછુ અને સંયમિત નિવેદન કરવા ટેવાયેલા ગુજરાતના મુખ્યપ્રધાને પણ હવે, પૌરાણિક પાત્રો પર પોતાનો સૂર આલાપ્યો છે. ત્યારે, પક્ષના વરિષ્ઠ નેતાઓ આ પ્રકારના નિવેદનો કરીને વડાપ્રધાન સહિત સમગ્ર પક્ષને ક્ષોભજનક સ્થિતિમાં મુકી રહ્યા છે.

નરેન્દ્ર મોદી સ્ટાર્ટ અપ ઇન્ડિયા અને સ્ટેન્ડઅપ ઇન્ડિયાના સ્વપ્ન
એક તરફ જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટાર્ટ અપ ઇન્ડિયા અને સ્ટેન્ડઅપ ઇન્ડિયાના સ્વપ્ન દુનિયાને બતાવી રહ્યા છે. ટેક્નોલોજી સાથે હરણફાળ ભરી રહેલા વિશ્વ સાથે કદમ મિલાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે, બીજી તરફ પૌરાણિક મહાનતાના સંદર્ભ ટાંકવાના વાણી વિલાસ ભાજપના નેતાઓ અને સંવિધાનિક પદ પર બેઠેલા લોકો કરી રહ્યા છે. ભાજપના નેતાઓ ભારતની પૌરાણિક સંસ્કૃતિના વારસાને આગળ ધરીને પોતાના રાજકીય એજન્ડાને સફળ બનાવી રહ્યા છે કે, ભારતની પ્રાચીન સંસ્કૃતિ સાથે લગાવ ધરાવે છે? ક્યાંક દેશના વાસ્તવિક મુદ્દાઓ અને અસલી સમસ્યાઓથી ધ્યાન ભટકાવવા આવા ક્ષુલ્લક નિંવેદનો કરીને વિવાદ ઉભો કરી સસ્તી પ્રસિદ્ધિની સાથે સાથે મુખ્ય મુદ્દાઓ પરથી મીડિયા અને સોશિયલ મીડિયાને ડાયવર્ટ કરવાના પ્રયાસ હોવાનું પણ સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહ્યુ છે.

હિન્દુત્વના મુદ્દા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે હિન્દુત્વના મુદ્દાને આગળ ધરીને દેશમાં જ્વલંત માહોલ ઉભો કરવામાં સફળ થયા. તે મુદ્દાને આગળ વધારીને ભાજપ હજુ હિન્દુત્વના જોર પર પોતાનો માહોલ બનાવી રાખવાનો આ ભાજપનો પ્રયાસ હોવાનું પણ રાજનીતિજ્ઞો માને છે.












Click it and Unblock the Notifications
