મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્રમાં પૂરની પરિસ્થિતિનો તાગ મેળવી રાહત કામગીરીની સમીક્ષા કરી
રાજ્યમાં સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં થયેલી અતિવૃષ્ટિ-ભારે વરસાદની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે યોજાઇ હતી.
રાજ્યમાં સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં થયેલી અતિવૃષ્ટિ-ભારે વરસાદની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઉપસ્થિત રહીને પૂરની પરિસ્થિતિમાં પહોચી વળવાની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં રસ્તા, વીજળી, પાણી પૂરવઠો, આરોગ્ય, ઘરવખરી-કેશડોલ્સ સહાય તેમજ ખેતીની જમીનની સ્થિતીની મુખ્યપ્રધાને સંપૂર્ણ વિગતો મેળવી હતી.
રાજ્યભરમાં વરસાદ નોંધાયો
આ દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે આ વર્ષે સમગ્ર રાજ્યમાં તા.૧૮મી જૂલાઇની ગત વર્ષની તૂલનાએ ૩ ટકા વધુ વરસાદ વરર્સ્યો છે. ગત વર્ષે આ સમયગાળા સુધીમાં ૪ર ટકા વરસાદ સામે આ વર્ષે ૪પ ટકા વરસાદી પાણી પડયું છે. વધુમાં જણાવ્યું કે વરસાદ બિલ્કુલ થયો જ ન હોય તેવો કોઇ જ વિસ્તાર-તાલુકો રાજ્યમાં નથી. રાજ્યના રરપ તાલુકામાંથી પાંચ ઇંચથી ઓછા વરસાદ વાળા માત્ર ૬૦ તાલુકા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઉમેર્યું કે, હવામાન વિભાગની આગાહી અનુસાર, ર૩થી ર૬ જુલાઇ દરમ્યાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ વ્યાપક વર્ષા થવાની સંભાવનાઓ છે. હવે સૌરાષ્ટ્રના સાગરકાંઠે અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટી રહ્યું સંભાવના વ્યક્ત કરી હતી.
કેનાલમાં પાણી છોડાતાં ખેડૂતો વપરાશ કરી શકશે
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારે જે વિસ્તારોમાં વરસાદ ઓછો પડયો છે તે વિસ્તારના ખેડૂતોને પાક માટે પાણી મળી રહે તેવા ઉદાત અભિગમથી કડાણા જળાશયમાંથી મધ્ય ગુજરાત માટે તેમજ અન્ય વિસ્તારમાં સુજલામ-સુફલામ અંતર્ગત તળાવો ભરીને પાણી પહોચાડવાનો નિર્ણય કર્યો છે તેની વિસ્તૃત વિગતો આપી હતી. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે નર્મદા કેનાલમાં પણ નર્મદાના પાણી વહાવીને કચ્છ-ધ્રાંગધ્રા, માળિયા, મોરબી જેવા વિસ્તારોમાં ખેડૂતોને પાણી પહોચાડવાનું આયોજન કર્યું છે. તેમણે જણાવ્યું કે જ્યાં વ્યાપક વરસાદ થયો છે ત્યાં ખેડૂતોને પાણીની કોઇ સમસ્યા ન રહે એ દિશામાં પણ સરકાર સક્રિય છે.
જળાશયોમાં નવા પાણીની આવક થઇ
રાજ્યના જળાશયોની સ્થિતીની વિગતો આપતાં મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યના ૧૩ જળાશય-ડેમ ૧૦૦ ટકા ભરાઇ ગયા છે જ્યારે નવું પાણી આવવાથી ૭ જળાશયો ૯૧ થી ૯૯ ટકા ભરાયા છે, પ૦ થી ૬૦ ટકા ભરાયેલા ર૪ જળાશયો છે.
માર્ગો સત્વરે મરામત કરી કાર્યરત કરાયા
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યમાં હવે એક પણ ગામ સંપર્ક વિહોણું રહ્યું નથી. ૪રપ માર્ગો રિપેર કરી દેવાયા છે. એટલું જ નહિ, સ્ટેટ હાઇવે અને ગ્રામીણ માર્ગો મળી ૧૧૧ જેટલા રસ્તાઓને જે વરસાદી અસર પડી છે તેનું મરામત કાર્ય પણ માર્ગ-મકાન વિભાગે ત્વરાએ હાથ ધર્યું છે.
32 લોકોના મોત થયાના અહેવાલ
વિજય રૂપાણીએ કહ્યું કે, બચાવ કામગીરીમાં NDRFની રર ટિમો રાજ્યમાં તૈનાત છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ-રાહત કામોમાં અસરકારક સહયોગ કરી રહી છે. વરસાદને પરિણામે ૧૪ વ્યકિતઓના પાણીમાં તણાઇ જવાથી મૃત્યુ થયા છે. ૧૮ જેટલા લોકોના વીજળી પડવાથી કે વીજ કરંટ લાગતાં અપમૃત્યુ થયા છે. ૧૬૦ જેટલા પશુઓના મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
રાહતલક્ષી વહિવટી કામગીરી ઝડપી હાથ ધરી
આ દરમિયાન તેમણે વહિવટીતંત્રની કામગીરીને પણ બિરદાવી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, વહીવટીતંત્રની સર્તકતા અને સમયસરના પગલાંને કારણે માત્ર ૬૬૧ વ્યકિતઓને જ રેસ્કયૂ કરવી પડી છે. ૪૦ર૦ જેટલા સ્થળાંતરીત થયેલા લોકો માટે ૨૭૩૦૦ જેટલા ફૂડ પેકેટસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો ન ફેલાય તે માટે ર૯૦ થી વધુ હેલ્થ ટીમ મેલેરીયા, ઝાડા ઉલ્ટી, પાણીજન્ય રોગ તેમજ ઝેરી જાનવર કરડવા સામેની દવાઓથી સજ્જ થઇને કાર્યરત કરવામાં આવી છે. વરસાદ રહી જતાં કાંપ-કચરાની સાફ-સફાઇ અને આરોગ્ય વિષય પગલાંઓ તાત્કાલિક લેવા જિલ્લા કલેકટરો-વિકાસ અધિકારીઓને ખાસ તાકિદ કરવામાં આવી છે.
નુકસાનીનો સર્વે કરી અસરગ્રસ્તોને સહાય અપાશે
આ વરસાદને કારણે મકાનો તથા ઘરવખરીને થયેલા નુકશાનના સર્વે માટે મહેસૂલ વિભાગ દ્વારા ૧૧ અસરગ્રસ્ત જિલ્લામાં ૩ર૪ ટીમો રચવામાં આવી છે તેની વિગતો આપતાં કહ્યું કે, કેશડોલ્સ-ઘરવખરીની નુકશાનીનો સર્વે કરી સત્વરે સહાય આપવામાં આવશે. અસરગ્રસ્ત ૧૧ જિલ્લામાં ૭૮૯ ગામોને ખેતી જમીનનું નુકશાન થયું છે તેની પ્રાથમિક અંદાજોની વિગતો આપતાં જણાવ્યું કે જમીન ધોવાણના સર્વે માટે ૧ર૦ ટીમની રચના કરી છે. અંદાજે ૧ લાખથી વધુ હેકટર જમીનને આ વરસાદની અસર થયાનો પ્રાથમિક અંદાજ છે એમ તેમણે ઉમેર્યું હતું.