વિજય રૂપાણી પ્રતિનિધિમંડળ સાથે છ દિવસના ઇઝરાયેલના પ્રવાસે રવાના
મુખ્યમંત્રી બન્યા બાદ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પ્રથમ વખત વિદેશ પ્રવાસે જઇ રહ્યા છે. મુખ્યપ્રધાને પોતાના વિદેશ પ્રવાસની શરૂઆત ઇઝરાયેલથી કરી છે.
મુખ્યમંત્રી બન્યા બાદ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પ્રથમ વખત વિદેશ પ્રવાસે જઇ રહ્યા છે. મુખ્યપ્રધાને પોતાના વિદેશ પ્રવાસની શરૂઆત ઇઝરાયેલથી કરી છે. આજે મુખ્યસપ્રધાન પોતાના પ્રતિનિધિમંડળ સાથે ઇઝરાયેલ જવા અમદાવાદથી રવાના થયા છે. મુખ્યપ્રધાન છ દિવસ સુધી ઇઝરાયેલની મુલાકાતે છે.
નવી દિલ્હીથી ઇઝરાયેલના પ્રવાસે
મુખ્યપ્રધાન વિજય રૂપાણી બપોરે 12.45 કલાકે અમદાવાદથી ઇઝરાયેલ ના પ્રવાસે જવા રવાના થયા છે. તેઓ બપોરે 3 કલાકે નવી દિલ્હી હવાઈ મથકે ભારત ખાતેના ઇઝરાયેલી રાજદૂત શ્રીયુત ડેનિયલ કેર્મોન સાથે મુલાકાત કરશે અને સાંજે 4.45 વાગ્યે નવી દિલ્હીથી ઇઝરાયેલના તેલ અવીવ જવા રવાના થશે.
પ્રધાનોએ પાઠવી શુભેચ્છા
મુખ્યમંત્રીને અમદાવાદ વિમાની મથકે રાજ્ય પ્રધાનમંડળના પ્રધાનો સૌરભ પટેલ, જયેશ રાદડિયા, ઈશ્વર પરમાર, પ્રદીપસિંહ જાડેજા, પરબત પટેલ, ઈશ્વરસિંહ પટેલ, વિભાવરી દવે તેમજ દંડક પંકજ દેસાઈ અને મુખ્ય સચિવ ડો.જે.એન સિંહ સહિતના તમામ મહાનુભાવોએ પુષ્પગુચ્છ અર્પણ કરી ઇઝરાયેલ પ્રવાસની શુભેચ્છા પાઠવી હતી.
8 સભ્યોનું પ્રતિનિધિમંડળ પણ સામેલ
મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સાથે કૃષિ રાજ્ય મંત્રી જયદ્રથ સિંહ પરમાર ઉપરાંત અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદ, અગ્ર સચિવ જે.પી ગુપ્તા, ગૃહ સચિવ મનોજ અગ્રવાલ, મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર, ગુજરાત એગ્રોના એમ.ડી મહ્મમદ શાહિદ, રેસિડેન્ટ કમિશનર આરતી કંવર, ખેતી નિયામક ભરત મોદી બાગાયત નિયામક વઘાસિયા પણ ઇઝરાયલ પ્રવાસમાં મુખ્યમંત્રી સાથે જોડાયા છે.
1લી જુલાઇએ પરત ફરશે મુખ્યપ્રધાન
પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી ઇઝરાયેલમાં વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ - ડિસેલિનેશન પ્લાન્ટ્સ- એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ તેલઅવીવ મ્યુનિસિપાલિટીના કમાન્ડ કન્ટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે. ઉપરાંત ઇઝરાયલમાં વસતા ભારતીય સમુદાયો સાથે સ્નેહમિલન કાર્યક્રમમાં પણ હાજરી આપશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી મંગળવારથી છ દિવસ માટે ઇઝરાયલના પ્રવાસે છે. 1લી જુલાઇના રોજ ગુજરાત પરત ફરશે.
ઇઝરાયેલમાં દ્વિપક્ષીય બેઠકો યોજાશે
મુખ્યમંત્રીશ્રી અને આ પ્રતિનિધિમંડળના સમગ્ર ઇઝરાયલ પ્રવાસ દરમિયાન કૃષિ અને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ઇઝરાયલની અદ્યતન ટેક્નોલોજી અને અનુભવો વિષયક જ્ઞાન-માહિતીનો વિનિયોગ કેન્દ્રસ્થાને રહેવાનો છે. મુખ્યપ્રધાનનું આ પ્રતિનિધિમંડળ ઇઝરાયલના કૃષિ પ્રધાન યુરી એરિઅલ, વિદેશ તથા આંતરરાષ્ટ્રીય સહકાર પ્રધાન ગીલ હસ્કેલ અને આર્થિક બાબતો તથા ઉદ્યોગ મંત્રાલયના પ્રધાન ઇલી કોહેન સાથે દ્વિપક્ષીય બેઠકો યોજશે તથા ઇઝરાયલ સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ ચર્ચા-વિચારણા કરશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ, એલ્બિટ સિસ્ટમ્સ, મોબિલઆઇ કોર્પોરેશનની મુલાકાત લઇને ‘મેક ઇન ગુજરાત'ના ભાગરૂપે ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે પારસ્પરિક સહયોગના અવસરોની સંભાવનાઓ ચકાસશે.
કૃષિ ઉત્પાદન વધારવાની ટેક્નોલોજી વિકસાવવા પ્રયાસ
ભારત વિશ્વમાં અનાજનું સૌથી વધુ ઉત્પાદન કરનારા રાષ્ટ્રો પૈકીનું એક છે અને અપૂરતા વરસાદ, કૃષિ અને જમીન પ્રાપ્યતાની સમસ્યાઓ ઉકેલવા માટે કૃષિ અને ખેતીવાડી ક્ષેત્રે ટેક્નોલોજીમાં ઇનોવેશનને વેગ આપવા ભારત અને ઇઝરાયલ સાથે મળીને કાર્યરત થશે.
નરેન્દ્ર મોદીએ 2006માં લીધી હતી મુલાકાત
અગાઉ પણ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ૨૦૦૬માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ ઇઝરાયલ ગયું હતું. જે દરમિયાન ઇઝરાયલની માઇક્રો-ઇરિગેશન ટેકનિકથી પ્રભાવિત થઈ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તે પદ્ધતિનો અમલ કરાવ્યો હતો. પરિણામે રાજ્યના સુકા વિસ્તારોમાં કૃષિના વિકાસ અને ઉપજમાં ઉલ્લેખનીય વૃદ્ધિ નોંધાઈ હતી. હવે, મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને ગુજરાત પ્રતિનિધિમંડળની આ મુલાકાત આધુનિક કૃષિ સિંચાઇ, જળ વ્યવસ્થાપન, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ડિસેલિનેશન પ્લાન્ટ્સ અને એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ જેવા બહુધા ક્ષેત્રોમાં ગુજરાત-ઇઝરાયલ સહભાગીતાનો નવો અધ્યાય રચશે તેવી આશા સેવાઇ રહી છે.