વરસાદ પીડિતોની મુલાકાતે મુખ્યમંત્રી, સરકાર અસરગ્રસ્તોની પડખે ઉભી છે-મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે ભારે વરસાદથી અસરગ્રસ્ત-પૂરગ્રસ્ત થયેલા જામનગર જિલ્લાના પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈને અસરગ્રસ્તોને મદદરૂપ થવા સંવાદ કરી અસરગ્રસ્તોને સરકાર સાથે છે તેવી હૈયાધારણા આપી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે ભારે વરસાદથી અસરગ્રસ્ત-પૂરગ્રસ્ત થયેલા જામનગર જિલ્લાના પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈને અસરગ્રસ્તોને મદદરૂપ થવા સંવાદ કરી અસરગ્રસ્તોને સરકાર સાથે છે તેવી હૈયાધારણા આપી હતી.
મુખ્યમંત્રીએ જામનગર જિલ્લાના અસરગ્રસ્ત થયેલા ધુંવાવ ગામ, મહાપ્રભુજી બેઠક વિસ્તાર તથા લાલપુર રોડ પરના આશીર્વાદ સોસાયટી વિસ્તારની મુલાકાત લઈ અસરગ્રસ્તોને થયેલી અસર અંગેનો કયાસ કાઢી જામનગર ખાતે કલેકટર કચેરીના સભાખંડમાં જામનગર જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
આ બેઠક બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર સરકાર અસરગ્રસ્તોની સાથે છે. સરકાર સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતો આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે, જામનગર જિલ્લાના 447 ગામોમાં ભારે વરસાદની અસર પહોંચી છે. સમગ્ર જિલ્લાની ટીમને કપરી કામગીરી સરળતાથી બજાવવા બદલ અભિનંદન આપ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે નુક્સાનીના સર્વે માટે સ્થાનિક ઉપરાંત બહારના જિલ્લાઓમાંથી પણ ટીમોને બોલાવવા સૂચના આપવામાં આવી છે. હકારાત્મક અભિગમ દાખવીને સાચો રહી ન જાય અને ખોટો લઈ ન જાય એ રીતે સર્વેની કામગીરી હાથ ધરવા માર્ગદર્શન આપ્યું છે.
મુખ્યમંત્રીએ જામનગર જિલ્લામાં થઈ રહેલી કામગીરીની વિગતો આપતા કહ્યું કે, જિલ્લામાં કુલ 4,760 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે. 144 લોકોને NDRF, SDRF તેમજ એરફોર્સ દ્વારા રેસ્ક્યુ કરી બચાવવામાં આવ્યા છે. 46 ટીમો સર્વે માટે હાલ કાર્યરત છે. સૌરાષ્ટ્રમાં મોસમનો 80 ટકા વરસાદ પડી ચુક્યો છે. જિલ્લાના 84 ગામોમાં વીજ પુરવઠાને અસર થઈ હતી, જેને તાત્કાલિક કામગીરી હાથ ધરીને સાંજ સુધીમાં 100% ગામોમાં વીજળી મળે તે રીતે કામગીરી કરવા સૂચના આપી છે. મૃત પશુના નિકાલ અને સફાઈ માટે જરૂર પડ્યે બહારની ટીમ બોલાવવા સૂચના આપવામાં આવી છે તેમજ રસ્તાઓ ખુલ્લા કરવા કામગીરી થઈ રહી છે.
મુખ્યમંત્રી સાથે ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રાઘવજી પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનીયારા, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, મુખ્ય સચિવ પંકજકુમાર, જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારઘી, કમિશનર વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનિય છે કે ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રના જામનગર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં પરિસ્થિતી વણસી છે. ત્યારે મુખ્યમંત્રીએ રૂબરૂ જઈને લોકોને હૈયાધારણા આપી હતી.