જિગ્નેશ મેવાણીને ચીફ ગેસ્ટ બનાવતા વાર્ષિકોત્સવ થયો રદ, પ્રિન્સિપાલે આપ્યુ રાજીનામુ
અમદાવાદની એચ કે આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ હેમંત કુમાર શાહે દલિત નેતા અને અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને કોલેજના વાર્ષિક સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કર્યા હતા.
અમદાવાદની એચ કે આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ હેમંત કુમાર શાહે દલિત નેતા અને અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને કોલેજના વાર્ષિક સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કર્યા હતા. જ્યારે વિદ્યાર્થી પરિષદના છાત્રોએ આનો વિરોધ શરૂ કર્યો તો અફડા તફડીમાં કોલેજ ટ્રસ્ટે વાર્ષિકોત્સવ જ રદ કરી દીધો. સમારંભની મંજૂરી રદ કરવાના વિરોધમાં હવે કોલેજના પ્રિન્સિપાલ હેમંત કુમાર શાહ અને વાઈસ પ્રિન્સિપાલ મોહનભાઈ પરમારે રાજીનામુ આપી દીધુ છે.
જિગ્નેશ મેવાણી અમદાવાદની એચ કે આર્ટ્સ કોલેજના છાત્ર
ઉત્તર ગુજરાતની વડગામ સીટ પર કોંગ્રેસના સમર્થનથી ધારાસભ્ય ચૂંટાયેલા જિગ્નેશ મેવાણી અમદાવાદની એચ કે આર્ટ્સ કોલેજના છાત્ર રહી ચૂક્યા છે. ધારાસભ્ય ચૂંટાવા અને સામાજિક કાર્યકર્તા તરીકે ઓળખ મેળવવાના કારણે કોલેજ પ્રશાસને તેમને સોમવારે યોજાનાર વાર્ષિકોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કર્યા હતા. પરંતુ કોલેજના છાત્ર સંઘ સમર્થક છાત્રોએ કોલેજ પ્રશાસન સમક્ષ વિરોધ વ્યક્ત કરીને કહ્યુ કે મેવાણી કોલેજના સમારંભમાં આવ્યા તો તે હોબાળો કરશે. ત્યારબાદ ગભરાઈ ગયેલ કોલેજના સંચાલક ટ્રસ્ટ બ્રહ્મચારી વાડીએ કાર્યક્રમ રદ કરી દીધો.
પ્રિન્સિપાલે કહ્યુ કે આઝાદીનું ગળુ ઘોંટવામાં આવી રહ્યુ છે
કાર્યક્રમ રદ થવાની જાણકારી રવિવારે મોડી સાંજે કોલેજના પ્રિન્સિપાલ હેમંત શાહે સોશિયલ મીડિયા દ્વારા આપી. તેમણે સોમવારે ટ્રસ્ટને એક પત્ર લખીને તેમના નિર્ણયને બંધારણના વિચાર, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના વિરોધમાં જણાવીને પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ. શાહે પત્રમાં લખ્યુ કે એક રાજકીય સંગઠનના છાત્ર સંગઠનના દબાણમાં આવીને ટ્રસ્ટે પોતાનો નિર્ણય બદલી દીધો. શાહનો આરોપ છે કે આ લોકોની અભિવ્યક્તિ અને વિચારની આઝાદી પર હુમલો છે. તેમનો તર્ક હતો કે પહેલા પણ કોલેજના સમારંભમાં રાજકીય લોકોને આમંત્રિત કરાતા રહ્યા છે.
|
‘જિગ્નેશ મેવાણીને પણ પોતાની વાત કહેવાનો પૂરો અધિકાર છે'
શાહે સ્પષ્ટ કહ્યુ છે કે તેમણે કોઈ ખોટો નિર્ણય નથી લીધો, ટ્રસ્ટનો નિર્ણય બંધારણના મૂળ અધિકારોની હત્યા સમાન છે. તેમણે લખ્યુ કે જિગ્નેશ મેવાણીને પણ પોતાની વાત કહેવાનો પૂરો અધિકાર છે, હું આ રીતના અધિકાર પર હુમલાના પ્રયાસોનો સતત વિરોધ કરતો રહ્યો છુ. વળી, આ મામલે જિગ્નેશ મેવાણીએ કહ્યુ કે ભાજપના ગુંડાઓ દ્વારા અપાયેલી ધમકીના કારણે એચ કે આર્ટ્સ કોલેજ, અમદાવાદના ટ્રસ્ટીઓએ તે વાર્ષિક સમારંભને રદ કરી દીધો જ્યાં મને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યો હતો. બાબા સાહેબ આંબેડકરના જીવન અને મિશન વિશે હું વાત કરવા જઈ રહ્યો હતો. પ્રાચાર્ય હેમંત શાહને સલામ જેમણે નૈતિક આધાર પર રાજીનામુ આપી દીધુ.
આ પણ વાંચોઃ VIDEO: આ છે ભારતનો સૌથી વિચિત્ર બાળક, વાળથી ઢંકાયેલો છે આખો ચહેરો