ભરૂચમાં ધર્માંતરણ કરાવવાના આરોપમાં 9 લોકો સામે ફરિયાદ, રૂપિયાની લાલચ આપી ધર્મ બદલતા હતા!
ભરૂચ જિલ્લામાં 100 થી વધુ આદિવાસીઓનું વિદેશી ફંડ દ્વારા ધર્માંતરણ કરાવાતું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપીઓ પર કથિત રીતે રૂપિયાની લાલચ આપી ધર્મ પરિવર્તન માટે દબાણ કરવામાં આવ્યું હતું.
અમદાવાદ : ભરૂચ જિલ્લામાં 100 થી વધુ આદિવાસીઓનું વિદેશી ફંડ દ્વારા ધર્માંતરણ કરાવાતું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપીઓ પર કથિત રીતે રૂપિયાની લાલચ આપી ધર્મ પરિવર્તન માટે દબાણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલામાં લંડનમાં રહેતા એક વ્યક્તિ સહિત 9 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.
પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ લંડનમાં રહેતા વ્યક્તિ સિવાય તમામ 9 આરોપીઓ સ્થાનિક રહેવાસી છે. આરોપીઓમાંથી એક હાલમાં લંડનમાં રહે છે અને તેની ઓળખ ફેફડાવાલા હાજી અબ્દુલ તરીકે કરવામાં આવી છે, તેને આ લોકોના ધર્માંતરણ માટે વિદેશી ભંડોળ એકત્ર કર્યું હતું. ભરૂચ પોલીસે જણાવ્યું છે કે વિદેશમાંથી મળેલા ભંડોળનો ઉપયોગ મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા લાંબા સમયથી ગેરકાયદેસર ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ માટે કરવામાં આવી રહ્યો છે.
તપાસમાં જાણવા મળ્યું કે, આરોપીએ વસાવા હિન્દુ સમુદાયના સભ્યોને પૈસા અને અન્ય પ્રલોભનો આપીને બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટ ફેલાવવા માટે ઇસ્લામ ધર્મ અપનાવવા માટે લલચાવ્યા હતા. પોલીસે આ કેસમાં તમામ 9 લોકો સામે ગુજરાત ધર્મ સ્વતંત્રતા (સુધારા) અધિનિયમ તેમજ ભારતીય દંડ સંહિતાની કલમ 120 (b) (ગુનાહિત કાવતરું), 153 (b) (c) (દુશ્મનાવટ) અને 506 (2) (ગુનાહિત ધમકી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.