સાયન્સસિટી ખાતે આયોજિત બે દિવસીય સાયન્સ કૉન્ક્લેવનું સમાપન
સેન્ટર સ્ટેટ સાયન્સ કૉન્ક્લેવનો સમાપન સમારંભ કેન્દ્રીય સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી જીતેન્દ્ર સિંહની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં ગુજરાત રાજ્યના શિક્ષણ તેમજ સાયન્સ અને ટેકનોલોજી મંત્રી જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત રહ્ય
સેન્ટર સ્ટેટ સાયન્સ કૉન્ક્લેવનો સમાપન સમારંભ કેન્દ્રીય સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી જીતેન્દ્ર સિંહની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં ગુજરાત રાજ્યના શિક્ષણ તેમજ સાયન્સ અને ટેકનોલોજી મંત્રી જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી જીતેન્દ્ર સિંહે સમાપન સત્રને સંબોધતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈની વર્ચ્યુઅલ ઉપસ્થિતિને કારણે આ કોન્ક્લેવ એક નવી ઊંચાઈ પર પહોંચી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્થાપિત કરેલી કાર્યસંસ્કૃતિનું જ પરિણામ છે કે આ કોન્ક્લેવ નવા પરિમાણો પ્રસ્થાપિત કરશે.
આ ફળદાયી સાયન્સ કોન્ક્લેવની સફળતાને બિરદાવતા કેન્દ્રીય મંત્રી એ જણાવ્યું હતું કે આપણે આવી સેન્ટર સ્ટેટ સાયન્સ કોન્ક્લેવ દર વર્ષે જુદા જુદા રાજ્યમાં યોજીશું. વધુમાં કેન્દ્રીય મંત્રી એ જણાવ્યું હતું કે દરેક રાજ્યની સાયન્સ ટેકનોલોજીને લગતી પહેલ અને સિદ્ધિઓનું અન્ય રાજ્યો અનુકરણ કરી શકે એ માટે એક ડેશબોર્ડ તૈયાર કરીશું, આગળ જતાં તેની એપ પણ બનાવાશે. ડેશબોર્ડના માધ્યમથી કેન્દ્ર અને તમામ રાજ્યો એકબીજા સાથે સતત જોડાયેલા રહેશે.
કેન્દ્રીય મંત્રી એ દરેક રાજ્યને એક નોડલ ઓફિસરની નિયુક્તિ કરવા અનુરોધ કર્યો, જે સતત કેન્દ્ર સરકાર સાથે સંપર્ક જાળવી રાખે. મંત્રીએ આ પ્રસંગે સેન્ટર સ્ટેટ સાયન્સ કાઉન્સિલ બનાવવાનો વિચાર પણ રજૂ કર્યો . કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે કોન્ક્લેવના સુંદર આયોજન અને વ્યવસ્થા માટે ગુજરાત સરકારની ભરપૂર પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, આ પ્રકારના કોન્કલેવના આયોજનથી માત્ર ગુજરાત કે ભારત જ નહીં સમગ્ર વિશ્વને એક નવી દિશા પ્રાપ્ત થશે. વિજ્ઞાન અને ટેકનોલોજી તથા સંશોધન એ કોઈપણ સમસ્યાના સમાધન માટે પાયો છે.
આ સમગ્ર આયોજનને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટિનું પરિણામ ગણાવતા મંત્રી એ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ગુજરાતમાં વિજ્ઞાન- ટેકનોલોજીના ક્ષેત્રમાં જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયું છે તેના પરિણામ સ્વરૂપ જ દેશમાં સૌથી પહેલા 'સેન્ટર-સ્ટેટ સાયન્સ કોન્કલેવ'નું આયોજન શક્ય બન્યું છે.
મંત્રી વાઘાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, બે દિવસ દરમિયાન આયોજિત થયેલા વિવિધ સત્રોમાં વિવિધ રાજ્યોના મંત્રી ઓ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને નિષ્ણાતો વચ્ચે ખૂબ ફળદ્રુપ ચર્ચા થઈ છે જે કોઈપણ સમસ્યાના સમાધાનમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીની ભૂમિકાને વધુ સ્પષ્ટ અને સરળ કરશે. સમાજના વિવિધ પડકારોને પાર કરી સર્વાંગી વિકાસને ગતિ આપવામાં આ પ્રકારના આયોજનો ખૂબ લાભદાયી બનશે, તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
વાઘણીએ કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહની સમગ્ર કોન્કલેવ દરમિયાન હાજરીને બિરદાવતા જણાવ્યું હતું કે, કદાચ આ પહેલો પ્રસંગ છે કે કેન્દ્રીયમંત્રીએ સમગ્ર આયોજનમાં રસ દાખવી સતત બે દિવસ વિવિધ સત્રોમાં હાજરી આપી માર્ગદર્શન આપ્યું જે આવનારા સમય માટે ખૂબ જ પ્રેરણાદાયી અને પથદર્શક બની રહેશે.
કોન્કલેવના સમાપન સત્રમાં સાયન્સ અને ટેકનોલોજી વિભાગના કેન્દ્રીય સચિવ ડૉ. એસ.ચન્દ્રશેખરે સમગ્ર આયોજનને મૂર્ત સ્વરૂપ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ, રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘણી, કેન્દ્રીય અને રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અધિકારીઓનો આભાર માન્યો હતો, તેમજ આ પ્રકારના કોન્કલેવ દ્વારા કેન્દ્ર અને રાજ્યોના સમન્વય થકી વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે ભારત ખૂબ પ્રગતિ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કેન્દ્રના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પ્રો. એ.કે.સૂદે સમગ્ર કોન્કલેવ દરમિયાન કુલ ૯ સત્રોમાં ચર્ચાયેલા વિષયો, નિષ્ણાતોના તારણો અને ચર્ચાનો નિષ્કર્ષ રજૂ કર્યો હતો. સાથે સાથે કેન્દ્રીય વરિષ્ઠ સલાહકાર ડૉ. અખિલેશ ગુપ્તાએ સૌનો આભાર પ્રગટ કર્યો હતો.
આ બે દિવસીય રાષ્ટ્રવ્યાપી સંમેલનમાં કેન્દ્ર તેમજ વિવિધ રાજ્યના વિજ્ઞાન-ટેકનોલોજી વિભાગના ઉચ્ચ અધિકારીઓ, ગુજરાતના સાયન્સ-ટેકનોલોજી વિભાગના સચિવ વિજય નેહરા, વૈજ્ઞાનિકો, નિષ્ણાતો અને વિવિધ વૈજ્ઞાનિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા યુવાનો અને પ્રબુદ્ધ નાગરિકોએ હાજરી આપી હતી.