સૌરાષ્ટ્ર: 148 રામ મંદિરોમાં પૂજા કિટ ઉપલબ્ધ કરાવશે કોંગ્રેસ
સૌરાષ્ટ્રમાં 148 રામ મંદિરોમાં પૂજા કિટ પહોંચાડશે કોંગ્રેસ ચૂંટણી દરમિયાન સૌરાષ્ટ્રમાં મળેલ જનાધાર જાળવવા માંગે છે કોંગ્રેસ આ અંગે વધુ વાંચો અહીં...
રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે અને પૂર્ણ બહુમત સાથે ભાજપે સરકાર બનાવી છે. આમ છતાં, કોંગ્રેસ હજુ પણ સતત રાજ્યમાં પોતાની ઉપસ્થિતિ નોંધાવવાના તમામ પ્રયત્ન કરી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કોંગ્રેસ સૌરાષ્ટ્ર વિસ્તારમાં 148 રામ મંદિરોમાં પૂજા સામગ્રી ઉપલબ્ધ કરાવશે. આ ક્ષેત્રમાં કોંગ્રેસે મોટી સંખ્યામાં બેઠકો પર કબજો જમાવ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ 20થી વધુ મંદિરોની મુલાકાત લીધી હતી, જેનો લાભ પણ કોંગ્રેસને વિધાનસભા ચૂંટણીમાં મળ્યો હતો. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને સારો એવો સહકાર મળ્યો છે અને પાર્ટી અહીં પોતાના જનાધાર ગુમાવવા નથી માંગતી. અમદાવાદ મિરર અનુસાર, કોંગ્રેસ સૌરાષ્ટ્રના 148 ગામડાઓમાં રામ મંદિરના કાયા-કલ્પ માટે શ્રીરામ સૂર્યોદય સંધ્યા આરતી કમિટીની રચના કરવા જઇ રહી છે. આ મંદિરોને કોંગ્રેસ તરફથી પૂજા કિટ આપવામાં આવશે. કાર્યકર્તા અઠવાડિયામાં 14 વાર નિયમાનુસાર આ મંદિરોમાં પૂજા-આરતી કરશે.

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પરેશ ધાનાણીએ કહ્યું કે, આ કિટમાં પૂજા માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી જેમ કે શંખ, ઝાલર અને નગારાનો પણ સમાવેશ થાય છે. કમિટીનો હેતુ પરંપરા સાથે ભક્તિની ભાવના યથાવત રાખવાનો છે. આ પાર્ટીનો નિર્ણય છે અને તેમનું એનજીઓ આ કામ કરી રહ્યું છે. આ પૂજા કિટ માટે શંખ સોમનાથથી, નગારા રાજકોટથી અને શણગારની વસ્તુઓ ભાવનગરથી મંગાવવામાં આવી છે. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે, કોંગ્રેસને હિંદુ-વિરોધી પાર્ટી તરીકે રજૂ કરવાનું ભાજપનું ષડયંત્ર તોડવા માટેનું આ એક સારું પગલું છે. 2019ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા આ પહેલથી કોંગ્રેસને ઘણો લાભ થઇ શકે છે. તો બીજી બાજુ ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું કે, કોંગ્રેસ જાતિ-ધર્મ આધારિત વિચારધારા છોડી દે, એ એમના માટે સૌથી સારું છે.












Click it and Unblock the Notifications
