અમરેલીમાં વેપારીઓને મળીને રાહુલે લાઠીમાં ભાજપ પર કર્યા પ્રહાર
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાતના બીજા દિવસના પ્રવાસે છે. ત્યારે તેમણે આ મુલાકાતમાં શું કહ્યું જાણો અહીં.
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે હાલ બે દિવસની મુલાકાતે છે. બુધવારથી શરૂ થયેલી તેમની આ મુલાકાતનો આજે છેલ્લો અને અંતિમ દિવસ છે. આજે રાહુલ ગાંધીએ સવારે અમરેલીમાં સ્થાનિક વેપારી સંગઠન સાથે મુલાકાત કરી હતી. અને અહીંના વેપારીઓના પ્રશ્નોને જાણવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તેમણે લાઠીમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. લાઠીમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં દરેક સમાજના લોકો આંદોલન કરી રહ્યા છે. કેમ કે ગુજરાતની સરકારે તેમનું શોષણ કર્યું છે. આ સાથે જ રાહુલ ગાંધીએ અહીં તેના ટાટા નેનો, નોટબંધી અને જીએસટીના મુદ્દાને પણ ઉઠાવ્યા હતા.
તેમણે કહ્યું કે ગબ્બરસિંગે ટેક્સ મૂકી નાના વેપારીઓનું પતન કર્યું છે. ઉલ્લેખનીય છે કે આજે રાહુલ ગાંધી ગુજરાતમાં અમરેલી, બોટાદ, ભાવનગરની મુલાકાત લેશે. અને અહીં કોર્નર મીટિંગ કરશે. સાથે જ તે અહીં સ્વામિનારાયણ અને લક્ષ્મીનારાયણ મંદિરની મુલાકાત પણ લેશે. જે બાદ સાંજે 7 વાગ્યા જેવા રાહુલ ગાંધી દિલ્હી જવા રવાના થશે. નોંધનીય છે કે બુધવારે રાહુલ ગાંધી સોમનાથ મંદિરમાં મુલાકાત લીધી હતી તે પછી તેમના હિંદુ હોવાના મુદ્દાએ ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું. ત્યારે આજે પણ રાહુલ બે મંદિરોની મુલાકાત લેવાના છે.