વિસાવદરમાં કોંગ્રેસની હાર, ભાજપ-કેશુભાઇ વચ્ચે સીધો જંગ
કોંગ્રેસે જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક માટે રતિલાલ માંગરોળિયાના નામની જાહેરાત કરી હતી. પરંતુ નિયત સમયમાં પોતાનું મેન્ડેટ ન ભરી શકતા ચૂંટણી પંચે તેમનું ઉમેદવારી રદ કરી નાખી છે.
આ અંગે કોંગ્રેસે આપેલી સફાઇ અનુસાર રતિલાલ માંગરોળિયા પોતાનું મેન્ડેટ લઇને ચૂંટણી અધિકારીના કાર્યાલયમાં જમા કરાવવા જઇ રહ્યા હતા. પરંતુ તે રસ્તામાં તેમના મેન્ડેટની કોપી એક ટાબરીયો જુટવીને ભાગી ગયો હતો. બાદમાં તેમણે તેમના કાર્યાલયથી મેન્ડેટની કોપીનો ફેક્સ મંગાવ્યો હતો. પરંતુ ત્યાં સુધી ત્રણ વાગ્યાને ઉપર દસ મિનિટ થઇ જતા ચૂંટણીપંચે તેમનું ઉમેદવારી પત્ર અમાન્ય રાખ્યું હતું. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 24 નવેમ્બરના બપોરના 3.00 વાગ્યા સુધીની હતી.
આ અંગે રતિલાલ માંગરોળિયાએ પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મે ચૂંટણી અધિકારી સામે મારા વકિલ થકી વિનંતી કરી હતી કે ચૂંટણી કાર્યાલયના પરિસરમાં મારા મેન્ડેટની લૂંટ થઇ હતી. છતાં ચૂંટણી અધિકારીએ મારું ઉમેદવારી પત્ર રદ કરી નાખ્યું હતું. જોકે કોંગ્રેસે આ મામલાને હાઇકોર્ટમાં પડકારવાની કવાયત શરૂ કરી દીધી છે.
આ ઘટના અંગે ભાજપે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસે આવું જાણી જોઇને કર્યું છે કારણ કે વિસાવદરથી કેશુભાઇ પટેલ પણ ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે આવું કરીને વિસાવદરની પ્રજાનો વિશ્વાસઘાત કર્યો છે. તેમજ કોંગ્રેસે પોતાના હારની શરૂઆત કરી દીધી છે. હવે વિસાવદરમાં ગુજરાત પરિવર્તન પાર્ટીના કેશુભાઇ પટેલ અને ભાજપના કનુભાઈ ભાલાળા વચ્ચે સીધો જંગ છે.