જગદિશ ઠાકોરના વિવાદીત નિવેદનથી કોંગ્રેસના પાટીદાર નેતાઓ નારાજ!
ગુજરાતમાં સામાન્ય રીતે કોંગ્રેસ એટલે વિવાદનું બીજુ નામ. આ પક્ષમાં કાર્યકરો ઓછા અને નેતાઓ ઝાઝા થઇ ગયા હોવાનો ઘાટ છે. ત્યારે, પક્ષના નેતાઓ ગમે ત્યારે ગમે તે નિવેદન આપીને વિવાદનો મધપૂડો છંછેડે છે.
ગુજરાતમાં સામાન્ય રીતે કોંગ્રેસ એટલે વિવાદનું બીજુ નામ. આ પક્ષમાં કાર્યકરો ઓછા અને નેતાઓ ઝાઝા થઇ ગયા હોવાનો ઘાટ છે. ત્યારે, પક્ષના નેતાઓ ગમે ત્યારે ગમે તે નિવેદન આપીને વિવાદનો મધપૂડો છંછેડે છે. કોંગ્રેસના આ નેતાઓના નિવેદનો ભાજપ માટે મહત્વના હથિયાર સાબિત થાય છે. તાજેતરમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોરે લઘુમતિ સંમેલનમાં દેશની સંપત્તિ પર લઘુમતિઓનો પ્રથમ અધિકાર હોવાનું નિવેદન આપ્યું હતું. જેમાંથી કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો પલ્લો ઝાડે તે પહેલાં જ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ કદીર પીરઝાદાએ પાટીદારો અને નરેશ પટેલ વિરુદ્ધ નિવેદન આપીને કોંગ્રેસને ફરીથી ભીંસમાં મુકી દીધી છે.
કોંગ્રેસના નેતાના નિવેદનને પગલે કોંગ્રેસના પાટીદાર નેતાઓમાં અસંતોષ જોવા મળ્યો હતો. કોંગ્રેસના નેતાઓએ આ નિવેદન બાબતે રોષ વ્યક્ત કર્યો હતો. રવિવારે કોંગ્રેસના પાટીદાર નેતાઓની એક બેઠક અમદાવાદ ખાતે મળી હતી. જેમાં કાર્યકારી અધ્યક્ષ કદીર પીરઝાદાના નિવેદન બાબતે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે કોંગ્રેસ હાઇકમાન્ડને રજુઆત કરવા પણ નક્કી કરાયું હતું.
પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ કદીર પીરઝાદાએ જણાવ્યું હતુ કે, કોંગ્રેસ 11 ટકા પાટીદારો અને નરેશ પટેલની પાછળ ભાગે છે. જ્યારે, મુસ્લિમોને ભુલી જાય છે. કબ્રસ્તાન માટે ધારાસભ્યો ગ્રાન્ટ પણ ફાળવતા નથી. તેમના આ નિવેદનના પાટીદાર નેતાઓમાં ઉગ્ર પડઘા પડ્યા છે. ત્યારે, હવે આ પ્રકારના ભડકાઉ અને નારાજગી ઉભી કરે તેવા નિવેદનોના કેવા પ્રત્યાઘાત જોવા મળે છે તે જોવાનું રહેશે.