મોંઘવારી, જિજ્ઞેશ મેવાણીની ધરપકડ જેવા વિવિધ મુદ્દે આજે કોંગ્રેસના રાજ્યવ્યાપી ધરણા-આંદોલન
વધતી જતી મોંઘવારી તેમજ વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની ધરપકડ જેવા વિવિધ મુદ્દે આજે કોંગ્રેસ રાજ્યવ્યાપી ધરણા કરશે.
અમદાવાદઃ વધતી જતી મોંઘવારી તેમજ વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની કથિત રીતે પીએમ વિરુદ્ધ કરેલ ટ્વિટના આરોપસર આસામ પોલિસ દ્વારા કરવામાં આવેલ ધરપકડ જેવા વિવિધ મુદ્દે આજે કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે. કોંગ્રેસે કરેલી જાહેરાત મુજબ આજે 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકા વિસ્તારમાં 'લોકશાહી બચાવો સંવિધાન બચાવો' હેઠળ આંદોલન, ધરણા અને પ્રદર્શનના કાર્યક્રમો યોજવામાં આવશે.
'લોકશાહી બચાવો સંવિધાન બચાવો'ના નારા સાથે કોંગ્રેસ રાજ્યભરમાં ધરણા કાર્યક્રમ યોજશે. રાજ્યના તમામ જિલ્લા મથકો પર કોંગ્રેસ ધરણા કરશે. 2022ની વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને હવે કોંગ્રેસે રસ્તા પરના કાર્યક્રમો શરુ કર્યા છે જેના અનુસંધાને આજે ધરણા યોજાશે.
વધતી મોંઘવારીના વિરોધમાં ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં વિરોધ પ્રદર્શન યોજાશે. અમદાવાદ શહેરમાં આજથી મોંઘવારી વિરોધી પદયાત્રા શરુ થશે. અમદાવાદના તમામ 48 વોર્ડમાં રોજ બેથી 3 વૉર્ડમાં પદયાત્રા યોજાશે. જે 3 કિમીની હશે. આજે ચાંદખેડા વૉર્ડથી આ યાત્રાની શરુઆત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર કરાવશે. જેમાં ધારાસભ્યો, કૉર્પોરેરટ, હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહેશે.