અમૃત પ્રજાપતિની હત્યા બાદ સાક્ષીઓની સુરક્ષાની માંગણી
અમદાવાદ, 11 જૂન : આસારામ સામે બળવો કરનારા અમૃત પ્રજાપતિ પર રાજકોટમાં ફાયરિંગ થયા બાદ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં થયેલા મોતની ઘટનાએ ઘેરા પ્રત્યાઘાતો પડયા છે.
આ ઘટનાને પગલે આસારામ કેસમાં સાક્ષીઓએ વધુ સુરક્ષાની માગ કરી છે. અમૃત પ્રજાપતિના હત્યારાઓ હજુ પકડાયા નથી. જેથી સાક્ષીઓએ હવે ન્યાયની માગ કરી છે. ગઈકાલે અમૃત પ્રજાપતિએ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં છેલ્લો શ્વાંસ લીધો હતો.
નોંધનીય છે કે તારીખ 23 મેના રોજ આસારામના પૂર્વ વૈધ અને આસારામ સામે બળવો કરનારા અમૃત પ્રજાપતિ પર રાજકોટમાં ગોળીબાર થયો હતો. જેમાં પ્રજાપતિ ઘાયલ થયા હતા.
આસારામ સામે બળાત્કાર અને યૌશ શોષણ કેસ નોંધાયા પહેલાથી જ અમૃત પ્રજાપતિએ આસારામ સામે બંડ પોકાર્યું હતું. એક સમયે પ્રજાપતિ આસારામ આશ્રમમાં વૈધ હતા. જો કે ગેરરીતિઓની ફરિયાદો મળતાં તેમણે છેડો ફાડી નાખ્યો હતો. અને બાદમાં આસારામ આશ્રમમાં ચાલતી ગેરરીતિઓ મામલે જાહેરમાં બંડ પોકાર્યું હતું.
આસારામ સામે વિરોધ કરનારાઓ પર હુમલાની આ પહેલી ઘટના નથી. અગાઉ પણ સાક્ષીઓ પર હુમલો, ઘમકી અને મારામારીની ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે. વળી આસારામ અને તેમનો આશ્રમ વિવાદમાં હંમેશા રહ્યો છે. દિપેશ-અભિષેક અપમૃત્યુ કેસ હોય કે, પછી છીંદવાડા અને મોટેરા પોલીસ સ્ટેશનમાં યુવતીઓની જાતીય સતામણીની નોંધાયેલી ફરિયાદો હોય, આસારામ આશ્રમ હંમેશા વિવાદમાં રહ્યો છે.
આસારામના પૂર્વ વૈદ્ય અમૃત પ્રજાપતિનું ગઈકાલે અવસાન થયું છે. અમૃત પ્રજાપતિ પર કેટલાક શખ્સો દ્વારા હુમલો કરાયો એ વ્યક્તિઓ આસારામના સાધકો હોવાનો આરોપ અમૃત પ્રજાપતિ તેમજ તેમના પરિવારજનોએ કર્યો હતો. આ કેસમાં હજુ પોલીસ એક પણ આરોપીને પકડી શકી નથી.