ગુજરાતને કુપોષણ મુક્ત બનાવવાનો સંકલ્પ, સરકારે બજેટમાં ખાસ જોગવાઈ
Gujarat government: કુપોષણ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, કુપોષણ એક વિષચક્ર છે. આ વિષચક્રને તોડવા માટે તમામ સ્તરે પ્રયત્નો કરવા પડશે. રાજ્યને કુપોષણમુક્ત બનાવવા માટે સરકાર સંકલ્પબદ્ધ છે.
પોષણને વિશેષ પ્રોત્સાહિત કરવાના હોલિસ્ટિક એપ્રોચ સાથે ગુજરાત સરકારે અંદાજપત્રમાં ખાસ જોગવાઇ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલ સુત્ર હર ઘર પોષણને જનઆંદોલનના ભાગ રૂપે લઇ જવાશે. કુપોષણને નાથવા માટે નાગરિકોના વર્તનમાં પરિવર્તન લાવવું ખૂબ જરૂરી છે. દરેક નાગરિકે પોતાના આરોગ્ય અને પોષણ માટેની જાગૃતિ કેળવવી પડશે.

આંગણવાડીના બાળકોમાં કુપોષણની સ્થિત અંગે વાત કરતા મંત્રીએ જણાવ્યુ કે, કુપોષણ એ માત્ર ગરીબોમાં જ છે એવુ નથી કુપોષણ એ સમૃદ્ધ પરિવારોમાં પણ જોવા મળે છે. અલ્પ પોષણ અને અતિ પોષણ બન્ને કુપોષણના પ્રકાર છે. અલ્પ-પોષણ માટે અનેક કારણો જવાબદાર છે, એમાં જન્મ સમયની સ્થિતી, બાળકના જન્મનો ક્રમ, માતાનું આરોગ્ય, સામાજિક-આર્થિક સ્થિતી, રહેણી -કરણી, ખાન-પાનની ટેવો, કોઇ ચેપ, કૃમિ, વ્યસન વગેરે જેવી અનેક પરિસ્થિતી અસર કરે છે. આમ અનેક કારણો કુપોષણ માટે જવાબદાર છે. આજે શું ખાવુ અને શુ નખાવુ તે માહિતીના અભાવે લોકો કુપોષણનો શિકાર બને છે.
પોષણ અંગે સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓની માહિતી આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, પૂરક પોષણ યોજના અંતર્ગત 3 થી 6 વર્ષનાં બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તથા બાળકો, કિશોરીઓ અને સગર્ભા-ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા માટે 878 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત પૂર્ણા યોજના હેઠળ કિશોરીઓને વિતરણ કરવામાં આવતા ટેક હોમ રાશન માટે 344 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
જ્યાં મા અન્નપૂર્ણા દેવીની પૂજા થતી હોય ત્યાં કુપોષણને કોઈ અવકાશ ન હોઈ શકે.
— Bhanuben Babariya (@BhanubenMLA) February 8, 2024
કુપોષણ માટે યોગ્ય પોષણનું અજ્ઞાન જવાબદાર છે. pic.twitter.com/4Tcxu2glES
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા અને ધાત્રીમાતાને એક હજાર દિવસ સુધી પ્રતિ માસ પ્રતિ લાભાર્થી બે કિલો ચણા, એક કિલો તુવેરદાળ અને એક લીટર ખાદ્યતેલ આપવામાં આવે છે. જેના માટે 322 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. પોષણ સુધા યોજના હેઠળ 106 આદિજાતિ ઘટકોમાં સગર્ભા અને ધાત્રી માતાઓને ગરમ ભોજન આપવા માટે 129 કરોડની જોગવાઇ કરાઈ છે, તેમ મંત્રીએ વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું.












Click it and Unblock the Notifications
