અંબાજીમાં ભાદરવી પૂનમે 51 શક્તિપીઠોના દર્શનનો લ્હાવો મળશે
અંબાજી, 26 ઓગસ્ટ : નવરાત્રિ નજીક આવી રહી છે તેમ તેમ ભક્તોમાં પગપાળા અંબાજીમાં ભાદરવી પૂનમ ભરવાનો ઉત્સાહ વધી રહ્યો છે. આ વર્ષે અંબાજી જનારા ભક્તોને એક નહીં 51 શક્તિપીઠના દર્શન કરવાની તક મળશે.
આ માટે અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાના વિશેષ આયોજનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અંબાજીમાં દર વર્ષે ભાદરવી પૂનમ ભરવા માટે માત્ર ગુજરાત નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ ભક્તો આવતા હોય છે. આ કારણે પ્રથમવાર યોજાવા જઇ રહેલા 51 શક્તિપીઠોના દર્શનનો લ્હાવો સૌ કોઇ માટે અનન્ય અને અવિસ્મરણીય બની જશે.
નોંધનીય થે કે 7 દેશોના 17 રાજ્યોમાં ફેલાયેલા આ શક્તિપીઠોનું અંબાજીમાં ગબ્બરની ગોખમાં 3 કિ.મી ના પરિક્રમા પથ પર નિર્માણ અને લોકાર્પણ કરવામાં આવ્યું છે.
આ દર્શનની મહત્તા એ છે કે જે તે શક્તિપીઠમાં જેવી રીતે પૂજાપાઠ કે આરતી થતી હોય તેવી જ રીતે અંબાજીમાં પણ પુજા-અર્ચના કરવામાં આવી રહી છે. જે માટે પુજારીઓને વિશેષ તાલીમ મળી રહે તે માટે તમામ શક્તિપીઠોની મુલાકાતે પણ મોકલવામાં આવ્યા હતા.
અંબાજીમાં 3થી 9 સપ્ટેમ્બર સુધી મહામેળો યોજાવાનો છે. લાખો શ્રદ્ધાળુઓમાં અનોખી આસ્થા ધરાવતા આ શક્તિપીઠમાં દર વર્ષે લાખો લોકો દર્શનાર્થે આવતા હોય છે.જેમાં ભાદરવી પૂનમનું સવિશેષ મહત્વ હોવાથી લોકો પગપાળા અંબાજી માતાના દર્શન કરવા જતા હોય છે.
અંબાજીના મેળામાં આ વખતે હિલિયમ બલૂન, એટીવીટી કાર અને જીપલાઇન રોપ-વે સહિત 20થી પણ વધુ એડવેન્ચર સ્પોર્ટસ બનાવવામાં આવ્યા છે. અંબાજી મંદિરના શિખરને વિવિધ રંગોની રોશનીથી ઝળહળતું કરાયું છે. કુલ 51માંથી 10 આધ્યશકિત પીઠો નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા, તિબેટ, ચીન અને બાગ્લાદેશમાં આવેલી છે.જ્યારે 41 શક્તિપીઠો ભારતના 17 રાજ્યોમાં આવેલી છે.