ગુજરાત ચૂંટણી વિશેષ: પાટીદાર, OBC આંદોલન પાછળ જ્ઞાતિવાદથી વિશેષ છે આ કારણ
શું ખરેખરમાં ગુજરાતમાં જાતિવાદનું ગણિત કામ કરી રહ્યું છે કે પછી યુવાનોમાં પૈસાને લઇને ચરસાચરસી પણ આ માટે જવાબદાર છે. જાણો આ પર એક વિશ્લેષ્ણાત્મક લેખ અહીં.
અમદાવાદ, ગુજરાતની ચૂંટણીમાં સ્પષ્ટ રીતે જોવા મળતા જ્ઞાતિવાદના સમીકરણો ભલે અસ્તિત્વની લડાઈ સમાન જોવામાં આવી રહ્યા હોય, પરંતુ પાયાની આર્થિક પ્રગતિની હોડમાં પાછળ રહી જવાની ચિંતા તેમાં સ્પષ્ટ દેખાઈ રહી છે. રાજયમાં સૌથી પ્રભાવશાળી માનવામાં આવતા પાટીદાર સમાજ અને ઓબીસી સમુદાય બંન્નેમાં જોવા મળતી આ ચિંતાને તેમના યુવા નેતાઓએ રાજકીય રંગ આપ્યો છે. જ્ઞાતિવાદના રોષના આ સમાજવાદમાં છુપાયેલા અર્થશાસ્ત્રને ગુજરાતની પ્રવર્તમાન ચૂંટણીમાં ભાજપ માટે આ મુદ્દો સૌથી મોટા પડકાર સમાન બની ગયો છે. જાણો આ અંગે વધુ અહીં

કેમ છે રોષ?
ગુજરાતની ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચારના પડઘમ ભલે શાંત થઈ ગયા હોય. પરંતુ અમદાવાદથી લઈને બનાસકાંઠા સુધી અને વડનગરથી લઈને વિરમગામ સુધી બધા જ સ્થળો પર પાટીદારો અને ઓબીસી સમુદાયના રોષને ઠંડો પાડવા માટે ભાજપના રાજકીય પ્રયત્નો બહુ અસર કરતાં દેખાય નથી રહ્યા. આ વર્ગના યુવાનો જ નહીં પરંતુ વડીલોમાં પણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં એક ધારણા બંધાયેલી છે, કે ગુજરાતની આર્થિક પ્રગતિના આ સમયમાં તેમના સમાજને જે ન્યાય મળવો જોઈએ તે મળ્યો નથી. તેમના સમાજના યુવાનોને જોઈએ તેટલી નોકરીઓ મળતી નથી. પાટીદારોનીઅનામતની માગ અને લડાઈના પાયામાં આ જ મુખ્ય કારણ રહ્યું છે.

પાટીદાર
પાટીદારોના અનામત આંદોલનના ભાગરૂપે જેલમાં ગયેલા મહેસાણાના અનેક યુવાનોનું કહેવું છે કે, અનામત માગવાનો અર્થ એ નથી કે અમે બીજા સમાજનો હક્ક છીનવા માંગીએ છીએ. પરંતુ અમે સરકાર પાસેથી એક એવી વ્યવસ્થાની અપેક્ષા રાખી રહ્યા છીએ, જેમાં અમારી પ્રગતિ માટે પણ જગ્યા હોય. યુવાનો માટે સમસ્યાઓ એટલે પણ વધારે છે કારણ કે માતા-પિતા બાળકોને એન્જિનિયરિંગ, એમબીએથી લઈને અનેક પ્રોફેશનલ કોર્સ કરાવવા માટે લાખો રૂપિયાની ફી ભરતા હોય છે. જેની સામે અમને માત્ર પાંચથી સાત હજાર રૂપિયાની નોકરીઓ મળતી હોય છે.

ઓબીસી
તો બીજી તરફ ઓબીસી સમાજ અને દલિત સમાજ પણ લાંબા સમયથી પોતાના પ્રશ્નોને વાચા આપવાનો પ્રયાસ કરી રહ્યો છે. મહેસાણા જિલ્લાના ઓબીસી યુવાનોનું કહેવું છે કે, તેમના સમાજના આંદોલનને જ્ઞાતિના વર્ચસ્વની લડાઈ કહેવું અયોગ્ય છે. કારણ કે આ લડાઈ જ્ઞાતિની નહીં પરંતુ આર્થિક અને સામાજિક પ્રગતિમાં તેમની ભાગીદારી માટેની લડાઈ છે.

શું છે કારણ?
ગુજરાતમાં ચાલી રહેલા આંદોલનોને માત્ર જ્ઞાતિવાદ રાજનીતિના ભાગ સમાન ગણવા તે સૌથી મોટી ભૂલ ગણાશે. ગુજરાતની આ વખતની ચૂંટણી બહારથી ભલે જ્ઞાતિવાદ પર લડાતી દેખાઈ રહી હોય, પરંતુ તેના મૂળમાં આર્થિક અને સામાજિક રીતે પછાત રહી જવાની બેચેની સાફ જણાઈ રહી છે. રાજ્યમાં ગગનચુંબી ઈમારતો, રીવર ફ્રન્ટ કે પાયાની સુવિધાઓના નિર્માણને જ વિકાસનું નામ ન આપી શકાય. શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગારી આ ત્રણ મહત્વના મુદ્દાઓ છે. રાજયમાં ચાલી રહેલા આંદોલનોમાં ખેડૂતોની વર્ષોથી થઈ રહેલી ઉપેક્ષા પણ મહત્વનો ભાગ ભજવી રહી છે. હાલની ચૂંટણીમાં પાયાના સ્તર પર ખેડૂત સમૂદાય પ્રત્યે સરકારની ઉપેક્ષાને લઈને લોકોમાં નારાજગીનું મોજું છે. જો કે ભાજપની જે વફાદાર વોટબેંક છે તેમની તો ખબર નથી, પરંતુ હાલની પરિસ્થિતિમાં અન્ય લોકોને પોતાની તરફ ખેંચવામાં ભાજપને મોટા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.












Click it and Unblock the Notifications
