ભૂતકાળમાં પણ આપણે સંક્રમણને માત આપીઃ વિજય રૂપાણી
ભૂતકાળમાં પણ આપણે સંક્રમણને માત આપીઃ વિજય રૂપાણી
દેશભરમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે, દરરોજ હજારોની સંખ્યામાં નવા કેસ સામે આવી રહ્યા છે. બીજી તરફ શિયાળો શરૂ થયો અને દિવાળીમાં લોકોએ સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોના ધજાગરા ઉડાડ્યા હોય કોરોના વાયરસનું સંક્રમણ તેજીથી વધવા લાગ્યું છે, તેને અટકાવવા ગુજરાત સરકારે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં કર્ફ્યૂ લગાવી દીધું હતું. હવે 2 દિવસનું કર્ફ્યૂ સમાપ્ત થયા બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતની જનતાને સંબોધન કર્યું.
મુખ્યમંત્રી વિજય રૂપાણી જનતાને સંબોધિત કરતા કહ્યું કે, તહેવારો બાદ સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે, ત્યારે સરકારે તાત્કાલિક નિર્ણયો લેવા પડે અને તેના ભાગરૂપે સરકારે અમદાવાદમાં બે દિવસનો કર્ફ્યૂ લગાવ્યો અને પ્રજાએ સાથે આપ્યો તે બદલ તેમનો આભાર માન્યો. કાલથી અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં રાત્રી કર્ફ્યૂ ચાલુ રહેશે. વિજય રૂપાણીએ કહ્યું કે, 'યુવાનોને હું અપીલ કરું છું કે રાત્રે બિનજરૂરી બહાર નિકળવાનું ટાળે. ચારેય શહેરોના નાગરિકને વિનમ્ર વિનંતી કરું છું કે આપણા ઘરમાં સંક્રમણ ના આવે તે માટે ચારેય શહેરના નાગરિકો રાત્રે બહાર નિકળવાનું ટાળે. માસ્ક પહેરશો તો જ બચી શકીશું. અને જે લોકોએ માસ્ક નહિ પહેર્યાં હોય તેમને પોલીસ હજાર રૂપિયાનો દંડ ફાડશે.'
ભારત બાયોટેકની કોરોના વેક્સીન આવતા વર્ષે લૉન્ચ થશે
વધુમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ભૂતકાળમાં પણ આપણે સંક્રમણમાંથી બહાર નિકળ્યા છીએ, ડરવાની જરૂર નથી, સરકારે સંપૂર્ણ તૈયારીઓ કરી રાખી છે. હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારી દેવામાં આવી છે, ડૉક્ટર્સ પણ વધુ સંખ્યામાં તહેનાત કરી દેવામાં આવ્યા છે. રાત્રી કર્ફ્યૂનું પાલન થાય અને સાથે જ દિવસે પણ માસ્ક ફરજીયાત પહેરીએ તેવી અપીલ છે.