નારાણ રાઠવાના લગ્નેત્તર સંબંધોનો પર્દાફાશ, બે સંતાનોની માતાએ ભરણ પોષણ દાવો માંડ્યો
અમદાવાદ, 12 જુલાઇ : ગુજરાતમાં કોંગ્રેસની સ્થિત કફોડી છે ત્યારે તેની છબી વધારે કલંકિત બને તેવો ઘટસ્ફોટ થયો છે. કોંગ્રેસના નેતા અને રાજ્યકક્ષાના પૂર્વ રેલવે પ્રધાન નારાણ રાઠવા સામે અમેરેલીમાં રહેતી બે સંતાનોની માતાએ તેના બાળકો રાઠવાના હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. આ સાથે જ આ મહિલાએ ગુજરાત હાઇકોર્ટમાં ભરણપોષણ મેળવવા માટે દાવો માંડ્યો છે.
ગુજરાત હાઇકોર્ટમા કરવામાં આવેલી અરજીમાં મહિલાએ પોતાનું નામ રેખા વાઘેલા નોંધાવ્યું છે. અરજીમાં તેણે દાવો કર્યો છે કે વર્ષો સુધી તે અને નારણ રાઠવા પતિ-પત્નીની જેમ રહ્યા છે. બાદમાં તેમણે ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકી હતી. આથી હવે બાળકો માટે ભરણ પોષણનો દાવો કર્યો.
રેખા વાઘેલાનો દાવો છે કે રાઠવાથી જ તેને બે બાળકો થયા છે, આ બાબતની સત્યતા ચકાસવા માટે તેણે કોર્ટ સમક્ષ બાળકોના ડીએનએ ટેસ્ટ કરવવાની અપીલ કરી છે. મહિલાનો દાવો છે કે પતિની બદલી કરાવવા માટે તે નારણ રાઠવાના સંપર્કમાં આવી હતી. બાદમાં બંને વચ્ચે સંબંધો વિકસ્યા હતા. આ સંબંધોથી તેમને બે બાળકો પણ થયા છે. થોડા સમય પહેલા જ રાઠવા દ્વારા કથિત મારઝૂડ કરી મહિલાને બહાર કાઢી મૂકવામાં આવી હતી.
હાઇકોર્ટે કેસની સુનાવણી કરતા નારણ રાઠવાને નોટિસ ફટકારી છે. કેસની વધુ સુનાવણી 12મીં ઓગસ્ટે કરવામાં આવશે. આ અગાઉ રેખા વાઘેલાએ અમરેલીની કોર્ટમાં નારણ રાઠવા ઘરેલું હિંસાનો કેસ દાખલ કર્યો હતો. જોકે નીચલી કોર્ટે તેઓ પત્ની તરીકેનો અધિકાર ન ધરાવતા હોવાનું કહી તેમની અરજી ફગાવી દીધી હતી.