ગુજરાતના વિવિધ બંદરો પરથી 105 કરતા વધારે દેશોમાં 60 કરતા વધારે કોમોડીટી-જણસની નિકાસ
ગુજરાતના લાંબા દરિયાકિનારાનો લાભ રાજ્યને મળી રહ્યો છે. આ જ કારણ છે કે ગુજરાતના વિવિધ બંદરો પરથી મોટી સંખ્યામાં નિકાસ કરવામાં આવે છે.
બંદર વિભાગની માંગણીઓ સંદર્ભે વિધાનસભા ગૃહમાં રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યુ કે, બંદરો અને વાહન વ્યવહાર વિભાગ અંતર્ગત આવતા બંદરો વિભાગ માટે વર્ષ 2024-25માં92.13 કરોડની રકમ ફાળવવામાં આવી છે.

રાજ્ય મંત્રીએ ગૃહમાં જણાવ્યું કે, પાછલા બે દાયકામાં દરિયાઈ માર્ગે માલ સમાન ટ્રાન્સપોર્ટનો રાષ્ટ્રીય સંકલિત વૃદ્ધિ વિકાસ દર ૬.૨૫ ટકા જેટલો રહ્યો છે.
જ્યારે આ દરમિયાન સરકારના સતત પ્રયાસોથી ગુજરાતના બંદરો થકી માલ સામાનના ટ્રાન્સપોર્ટનો સંકલિત વૃદ્ધિ વિકાસ દર ૮.૪૫ ટકા રહ્યો છે. ગુજરાત સાચા અર્થમાં દેશના વિકાસનું અને વિકાસ માટે આવશ્યક માલ ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા તંત્રનું ગ્રોથ એન્જિન છે.
તેમણે પોર્ટ ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિઓ તેમજ દેશ-રાજ્યના વિકાસમાં ફાળા અંગે ગૃહમાં જણાવ્યું કે, ગુજરાત દેશનો સૌથી વધુ ૨૧ ટકા દરિયા કિનારો ધરાવે છે, જેના પરિણામે બંદરોના વિકાસ-ઉપયોગમાં ગુજરાત અગ્રેસર છે.
ગુજરાતના નોન મેજર પોર્ટ પરથી વર્ષ 2022-23માં 13,800 જેટલા જહાજોની અવર-જવર થઈ, જેમાં વર્ષ 2001-02ની તુલનામાં 2.76 ગણો વધારો થયો છે.
સમગ્ર દેશના નોન મેજર પોર્ટ દ્વારા ટ્રાન્સપોર્ટ કરવામાં આવતા કુલ કાર્ગોનો આશરે 64% જેટલો ગુજરાતના નોન મેજર પોર્ટ દ્વારા થાય છે.
તેમણે કહ્યું હતું કે, 2022-23માં રાષ્ટ્રીય સ્તરે પોર્ટ થકી માલની હેર ફેર આશરે 1,433 મિલિયન મેટ્રિક ટન જયારે ગુજરાતના નોન મેજર પોર્ટ દ્વારા 416.36 મિલિયન મેટ્રિક ટન માલનું ટ્રાન્સપોર્ટ કરવામાં આવ્યું, જે કુલ રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટનો અંદાજે 29% છે.
ગુજરાતના બંદરો પરથી આશરે 105 કરતા વધારે દેશોમાં 60 કરતા વધારે કોમોડીટીનું નિકાસ થાય છે. વર્ષ 2000-01 માં ગુજરાતમાં પોર્ટથી રૂ.190.85 કરોડની આવક હતી.જેમાં વર્ષ 2022-23 સુધીમાં 13 ગણો વધારો થઈને રૂ.2488 કરોડ થઈ છે.
મંત્રીએ ગુજરાતની પોર્ટ નીતિ અને પોર્ટના વિકાસ થકી દેશના અન્ય ભાગોને દરિયાઈ વ્યાપારની સુવિધા સંદર્ભે કહ્યું હતું કે,ગુજરાત દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 20 ટકાનો ફાળો ધરાવે છે આ ઔદ્યોગિક વિકાસ ફળીભૂત કરવા માટે રાજ્ય સરકારની પોર્ટ નીતિનો મોટો ફાળો છે. જેના થકી, રાજ્યના દરિયાકાંઠે થતા માલ ટ્રાન્સપોર્ટમાં 164 મિલિયન મેટ્રીક ટન એટલે કે 39 ટકા ફાળો કેપ્ટીવ કાર્ગોનો છે.
દેશની કુદરતી ગેસની જરૂરીયાતના 50 ટકાની LNG અને LPGની સપ્લાય ગુજરાતના પોર્ટ પર થતાં ઈમ્પોર્ટ દ્વારા થાય છે. દેશની પેટ્રોલીયમ પેદાશની જરૂરીયાતોના 45 ટકા સપ્લાય ગુજરાતના પોર્ટ મારફત થાય છે.દેશના કુલ કન્ટેનર હેન્ડલિંગના 39 ટકા હેન્ડલિંગ ગુજરાતના પોર્ટ મારફત થાય છે.
તેમણે વર્તમાન પ્રયાસો તેમજ ભવિષ્યના આયોજનો અંગે કહ્યું કે, ગીર સોમનાથ જિલ્લાના છારા ખાતે 4293 કરોડનાં ખાનગી મૂડીરોકાણથી એલ.એન.જી.ટર્મિનલ આ વર્ષમાં કાર્યાન્વિત થનાર છે. આ ઉપરાંત ભાવનગર પોર્ટના ઉત્તર ભાગમાં બ્રાઉનફિલ્ડ પોર્ટ (CNG ટર્મિનલ અને અન્ય ટર્મિનલો) વિકસાવવા માટે અંદાજીત 4,024 કરોડનાં રોકાણના આયોજન માટે કન્સેશન એગ્રીમેન્ટને મંજૂર કરવામાં આવ્યા છે.
દહેજ ખાતે પોર્ટની સુવિધાઓનાં વિસ્તૃતિકરણનાં ભાગરૂપે પેટ્રોનેટ એલ.એન.જી. દ્વારા 1,700 કરોડનાં ખાનગી મૂડીરોકાણથી ત્રીજી જેટીના વિકાસ માટેની દરખાસ્તને સૈધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે, દહેજ ખાતે આવેલ ગુજરાત કેમિકલ પોર્ટ લીમીટેડ (GCPL) દ્વારા અંદાજીત 3,322 કરોડના ખર્ચે બીજી જેટી વિકસાવવા માટેનું બાંધકામ પ્રગતિ હેઠળ છે. હજીરા ખાતે ફેઝ-2 અને આઉટર હાર્બરના વિકાસ માટે અંદાજીત 5,900 કરોડના બાંધકામને મંજૂરી આપવામાં આવી છે.
મંત્રીએ મત્સ્યોદ્યોગ પ્રવૃત્તિઓને વધુ વેગ આપવા બાબતે કહ્યું હતું કે, રાજ્યમાં 2.18 લાખ સક્રીય માછીમારો દ્વારા 36,593 મત્સ્યબોટો કાર્યરત છે. હાલમાં રાજ્યમાં 8.97 લાખ મેટ્રીક ટન મત્સ્ય ઉત્પાદન થાય છે, જે પૈકી 2.84 લાખ મેટ્રીક ટન એક્સપોર્ટ થાય છે, જેના થકી રૂ.5,865 કરોડનું વિદેશી હુંડીયામણ મળે છે. રાજ્ય સરકાર દ્વારા દરીયાકાંઠે નાના માછીમારોને સુવિધાઓ મળી રહે તે હેતુસર માઢવાડ, સુત્રાપાડા, વેરાવળ અને નવાબંદર ખાતે લગભગ 970 કરોડના ખર્ચે મત્સ્યપોર્ટ વિકસાવવામાં આવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
