સુરતમાં નકલી ચલણી નોટો છાપવાનુ કૌભાંડ ઝડપાયુ, રેકેટનો માસ્ટરમાઇન્ડ સદગુરુ પ્રદીપ હોવાનો ખુલાસો
અમદાવાદના અમરાઈવાડીમાં ક્રાઈમ બ્રાન્ચે એક મોટા ઓપરેશનમાં ₹૨.૧૦ કરોડની નકલી નોટોનો જથ્થો ઝડપ્યો છે. આ કેસમાં પોલીસે એક મહિલા સહિત કુલ છ શખ્સોની ધરપકડ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
પોલીસને બાતમી મળી હતી કે એક ફોર્ચ્યુનર કારમાં ૫૦૦ના દરની બનાવટી નોટોની હેરાફેરી કરવામાં આવી રહી છે. આ કાર પર આયુષ મંત્રાલય અને ભારત સરકાર લખીને પોલીસને છેતરવાનો પ્રયાસ કરાયો હતો.

તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ નકલી નોટોનું નેટવર્ક સુરતના વરાછા વિસ્તારમાં આવેલા એક આશ્રમ સુધી ફેલાયેલું છે. પોલીસે ત્યાં દરોડા પાડીને નોટો છાપવાનું મશીન પણ કબજે કર્યું છે.
સુરતના વરાછા અને કામરેજ વિસ્તારમાંથી પોલીસે વધુ ૮૦ લાખની નકલી નોટો શોધી કાઢી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. આ સમગ્ર રેકેટનો માસ્ટરમાઇન્ડ સદગુરુ પ્રદીપ ઉર્ફે પ્રદીપ ગુરુજી હોવાનું ખુલ્યું છે.
આરોપી પ્રદીપ સત્યમ યોગ ફાઉન્ડેશન ચલાવે છે અને અગાઉ તે રાજકોટમાં પણ આવી જ પ્રવૃત્તિઓમાં સક્રિય હોવાનું જણાયું છે. હાલ પોલીસ દ્વારા તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.
ક્રાઈમ બ્રાન્ચ હવે એ તપાસી રહી છે કે આટલી મોટી માત્રામાં નકલી નોટો કયા બજારમાં ઘૂસાડવાની યોજના હતી. આ કૌભાંડમાં હજુ પણ અન્ય મોટા માથાઓની સંડોવણી હોવાની આશંકા સેવાઈ રહી છે.












Click it and Unblock the Notifications
