કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે કિસાન મોરચાના આગેવાનોની બેઠક યોજાઇ
રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતોના આગેવાન અને કિસાન મોર્ચાના આગેવાનો સાથે બેઠક કરીને ખેડૂતોના વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે કિસાન મોરચાના આગેવાનોની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ખેડૂતોના વિવિધ પશ્નો અંગે ચર્ચા-કરવામાં આવી હતી. આ બેઠકમાં ખેડૂતોને લગતા ટ્રેક્ટર, મીની ટ્રેકટર, રોટાવેટર વગેરેના બજેટમાં વધારો, ટ્રેક્ટર સાથે વપરાતી ટ્રોલીમાં સહાય, પાક સંગ્રહ સ્ટ્રક્ચરની યોજનામાં સહાય ધોરણમાં વધારો, તાડની વાડના કલસ્ટરનો વિસ્તાર ઘટાડી એક હેકટર કરવો, આઇ-ખેડૂત પોર્ટલમાં અરજીઓની ડ્રોની પ્રથા બંધ કરી વહેલા તે પહેલાના ધોરણે મંજૂરી આપવી, ખેડૂત અકસ્માત વીમા યોજનામાં વીમા ક્ષણ વધારવુ, સર્ટીફાઇડ બીજ ઉત્પાદન કાર્યક્રમનો વિસ્તાર વધારવો, બાગાયતી ખેતી માટે માલ રાખવા પેક હાઉસ યોજનાનો વ્યાપ વધારવો, ફળ શાકભાજી, ખેતીના ધરૂ ઉછેર માટે નર્સરીનો વ્યાપ વધારવો, લીલા પડવાશ માટે શણ-ઇક્ક્ડનુ બિયારણ રાહત દરે આપવુ જેવા રાજ્યના ખેડૂત સમુદાયના વિવિધ પ્રશ્નો બાબતે કિસાન મોરચાના આગેવાનો દ્વારા રજુઆત કરવામાં આવી હતી.
વર્ષ ૨૦૨૩ કેન્દ્ર સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય મીલેટ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યુ છે તે અંગે સર્વેને માહિતગાર કરવામાં આવ્યા હતા. આરોગ્યની દ્ર્ષ્ટીએ જરૂરી જાડા ધાનની બાજરી, જુવાર, રાગી વગેરેનો વિસ્તાર વધે તેમજ ઉપભોક્તાઓમાં આ સંદર્ભે જાગૃતિ આવે તે માટે આગામી સમયમાં થનાર પ્રચાર પ્રસારની પ્રવૃતિઓમાં સહકાર આપવા કિસાન મોરચાના આગેવાનોને મંત્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.
કેન્દ્ર - રાજ્ય સરકાર તથા ગુજરાતના રાજ્યપાલ દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ પ્રાકૃતિક ખેતીના પરિણામોના પ્રત્યક્ષ નિરિક્ષણ માટે ખેડૂત આગેવાનોને હરિયાણાના કુરૂક્ષેત્રની મુલાકાત લેવા તથા પ્રાકૃતિક ખેતીનો મહત્તમ પ્રચાર પ્રસાર કરી પ્રાકૃતિક ખેતીમાં જોડાવા માટે મંત્રીએ જણાવ્યું હતું.
મંત્રી રાઘવજી દ્વારા ખેડૂતોની રજુઆતોની ચકાસણી કરી, તંત્ર સાથે રહી તમામ રજુઆતોનો સંતોષકાર રીતે ઉકેલ લાવવા જરૂર પડે ઉચ્ચકક્ષાએ રજુઆતોને ધ્યાને મુકી મહત્તમ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તથા ભવિષ્યમાં પણ કરવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો તથા જે યોજનાઓની ખેડૂત આલમમાં માંગ છે તેવી યોજનાઓ અંગે વિચારણા પણ કરવામાં આવશે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.