જયનારાયણ વ્યાસનુ ભાજપમાંથી રાજીનામુ, કોંગ્રેસમાં જોડાઇ શકે
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખોનુ એલાન થતા જ ભાજપને મોટો ઝટકો લાગ્યો છે.
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખોનુ એલાન થતા જ ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાતમાં ભાજપ સરકારમાં આરોગ્ય મંત્રી રહી ચૂકેલા જયનારાયણ વ્યાસે પક્ષમાંથી રાજીનામુ આપી દીધુ છે. વળી, એવી ચર્ચાએ જોર પકડ્યુ છે કે તેઓ ટૂંક સમયમાં કોંગ્રેસમાં જોડાઈ શકે છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જગદીશ ઠાકોરે દાવો કર્યો છે કે જયનારાયણ વ્યાસ સોનિયા ગાંધીને મળ્યા છે.
રાજ્યમાં ચૂંટણી તારીખોના એલાન બાદ રાજકીય હલચલોએ વેગ પકડ્યો છે. ગુજરાતના પૂર્વ સભ્ય ઈન્દ્રનીલ રાજગુરુએ આમ આદમી પાર્ટી છોડી કોંગ્રેસમાં જોડાયા જ્યારે હવે ભાજપમાં કેશુભાઈ પટેલ અને નરેન્દ્ર મોદી બંનેની સરકાર દરમિયાન મંત્રી રહી ચૂકેલા જય નારાયણ વ્યાસ પર ભાજપનો પાલવ છોડી કોંગ્રેસમાં સામેલ થવાની અટકળો છે. જો કે, તેમની આમ આદમી પાર્ટી સાથે પણ જોડાઈ શકવાની સંભાવનાઓ નકારી શકાય નહિ. જયનારાયણ વ્યાસે કહ્યુ કે હું મારા કાર્યકર્તાઓ સાથે વાત કરીને નક્કી કરીશ કે કઈ પાર્ટીમાં જવુ. મારા માટે કોંગ્રેસ અને આપ બંનેના વિકલ્પ ખુલ્લા છે.
તમને જણાવી દઈએ કે જય નારાયણ વ્યાસ 2007થી 2012 સુધી ગુજરાત સરકારમાં આરોગ્ય મંત્રી રહી ચૂક્યા છે. તેઓ ઘણા સમયથી ભાજપની નારાજ ચાલી રહ્યા છે. જો કે, હમણા થોડા દિવસો પહેલા જ તઓ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત સાથે પણ મુલાકાત કરી ચૂક્યા છે. વળી, તેઓ આમ આદમી પાર્ટીના અમુક નેતાઓના સંપર્કમાં હોવાની વાત પણ કહેવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની કુલ 182 વિધાનસભા બેઠકોમાંથી 89 સીટ પર એક ડિસેમ્બરે અને 93 સીટ પર 5 ડિસેમ્બરે મતદાન થશે. પહેલા અને બીજા તબક્કા માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ અનુક્રમે 14 નવેમ્બર અને 17 નવેમ્બર રહેશે. 15 નવેમ્બર અને 18 નવેમ્બરના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ અનુક્રમે 17 નવેમ્બર અને 21 નવેમ્બર રાખવામાં આવી છે. આ ચૂંટણીઓ સાથે, 2023માં કેટલાક અન્ય રાજ્યોની ચૂંટણીઓને 2024ની લોકસભા ચૂંટણીના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.