'સિંહ' સામે ગર્જ્યા ગુજ્જુઓ, આપ્યો સણસણતો જવાબ
ગાંધીનગર, 4 જાન્યુઆરી: ભારતના વડાપ્રધાન મનમોહન સિંહે મીડિયા સેન્ટરમાં પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા કહ્યું કે, જો નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યા તો દેશ બરબાદ થઇ જશે. તેઓ દેશ માટે ઘાતક છે. તેમણે આ જવાબ ત્યારે આપ્યો જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે મોદી વિરુદ્ધ રાહુલ ગાંધીને ઉતારવાથી શું આ બરાબરીનો મુકાબલો થશે?
વડાપ્રધાન મનમોહન સિંહના નિવેદન બાદ રાજકીય નેતાઓ અને ગુજરાતની જનતામાં આક્રોશનો દાવાનળ ફાટી નિકળ્યો છે. ગુજરાતની પ્રજા અને ભાજપના નેતાઓનું માનવું છે કે નરેન્દ્ર મોદી દેશ માટે નહી પરંતુ કોંગ્રેસ માટે ઘાતક સાબિત થશે. એટલા માટે દેશના વડાપ્રધાન આ પ્રકારનું નિવેદન આપી રહ્યાં છે. ગુજરાતના લોકોનું માનવું છે કે વડાપ્રધાન પોતાનો શિષ્ટાચાર અને વાણી પરનો કાબૂ ગુમાવી ચૂક્યા છે. નરેન્દ્ર મોદી દેશને એક નવા દિશાસૂચક સાબિત થશે. આજે ગુજરાતી વનઇન્ડિયા દ્વારા અલગ-અલગ વ્યવસાય સાથે જોડાયેલા લોકોના અભિપ્રાય એકઠા કર્યા છે જે તમારી સમક્ષ રજુ કરવામાં આવ્યા છે.
પર્યંક કંસારા આસિસ્ટન પ્રોજેક્ટ મેનેજર (આઇટી)
એક પ્રાઇવેટ કંપનીમાં આસિસ્ટન પ્રોજેક્ટ મેનેજર તરીકે ફરજ બતાવતાં પર્યંક કંસારાએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી બધા માટે ઘાતક નથી. નરેન્દ્ર મોદીને ગુજરાતની પ્રજાએ સતત ત્રણ વખત ચૂંટીને ગુજરાતનું પ્રતિનિધિત્વ સોંપ્યું છે. જો તે પ્રજા કે દેશ માટે ઘાતક હોત તો પ્રજા તેમને વારંવાર ચૂંટીને સત્તા ન સોંપતી. એ સત્ય છે કે મોંધવારી, ફૂગાવો અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ મનમોહન સરકારમાં વધ્યા છે. તેથી કહી શકાય કે નરેન્દ્ર મોદી નહી પરંતુ મનમોહન સિંહ દેશ માટે ઘાતક છે.
રિદ્ધીશ વોરા: બિઝનેસમૅન
બિઝનેસમૅન રિદ્ધીશ વોરા કહે છે - આપણાં વડાપ્રધાને ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં નિવેદન કર્યુ કે " મોદી દેશ માટે વિનાશક છે " કોઈ પક્ષ કે વ્યક્તિના પંખા બન્યા વગર પણ વિચારીએ તો ખ્યાલ આવે કે જો મોદી વિનાશક હોય તો આટલા વર્ષોથી તેને ચૂંટનાર પ્રજા મહામૂર્ખ છે ? જે પોતાનો વિનાશ કરનારને જ ચૂંટે છે ? જો ગુજરાતની હાલત પાકિસ્તાન કે અફઘાનિસ્તાન જેવી હોય તો કહી શકાય કે મોદી વિનાશક છે પરંતુ ગુજરાતને તો તેની કાર્યપદ્ધતિઓ માટે ઘણાં એવોર્ડ કેન્દ્રની એજન્સીઓએ જ આપ્યા છે. શું આ એવોર્ડ વિનાશ વેરવાની કાબેલીયત માટે હતા ? જ્યાં મમતાદીદી કે ઠાકરે વિરૂધ્ધ લખવા-બોલવાથી મૂશ્કેલી વધે છે ત્યાં ગુજરાતમાં આરામથી મોદીની ફિરકી લઈ શકાય છે. જો આ હીટલર હોય તો આવુ શક્ય બને ખરૂ ? .
પ્રશાંત ચોરાસિયા: કોલેજિયન વિદ્યાર્થી
પ્રશાંત ચોરાસિયાએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા યુવાવર્ગમાં વધુ જોવા મળી રહી છે. યુવાવર્ગ તેમને પોતાના પ્રેરણાસ્ત્રોત માને છે. દેશને નરેન્દ્ર મોદી જેવા એક સક્ષમ નેતા અને નેતૃત્વની જરૂરિયાત છે. જે યુવાધનને નરેન્દ્ર મોદીમાં જોવા મળે છે. દેશની રાજધાની દિલ્હી કરતાં ગુજરાત વધુ સુરક્ષિત જોવા મળે છે. ગુજરાતની પ્રજાએ તેમને ત્રણ ત્રણ ચૂંટીને સાબિત કરી દિધું છે કે ગુજરાતના લોકો તેમને કેટલી હદે પસંદ કરે છે. ત્યારે દેશના પીએમનું આ પ્રકારનું નિવેદન શરમજનક અને ભયથી ભરપૂર હોય એમ લાગી રહ્યું છે. કોંગ્રેસ ગુજરાતી કહેવતને સાર્થક કરી રહી છે કે 'વિનાશ કાળે વિપરીત બુદ્ધિ'
ગૌતમ શ્રીમાળી: વેપારી
ફોટોગ્રાફીનો ધંધો કરતા ગૌતમ શ્રીમાળીએ જણાવ્યું હતું કે ગુજરાતી કહેવત છે કે 'બાર વર્ષે બાવો બોલ્યો એ પણ તારું નખ્ખોદ જજો' એવું વર્તન આપણા વડાપ્રધાને કર્યું છે. જો નરેન્દ્ર મોદી દેશ માટે ઘાતક છે તો દેશભરમાં તેમના આટલા બધા પ્રશંસકો કેમ છે? દેશભર ઇચ્છી રહ્યો છે કે નરેન્દ્ર મોદી દેશનું નેતૃત્વ કરે, જેવો ગુજરાતનો વિકાસ અને ઉદ્ધાર કર્યો છે તેવો દેશનો વિકાસ કરે. નરેન્દ્ર મોદી દેશની જરૂરિયાત બની ગયા છે. મનમોહન સિંહ તો આપણી મજબૂરી હતી. ગુજરાતની પ્રજાએ સતત ત્રણ વાર તેમનો વહિવટ જોયો છે. તેમના વહિવટમાં પારદર્શિતા જોવા મળે છે. જેને કોંગ્રેસ અને આપણા વડાપ્રધાન પચાવી શકતા ન હોવાથી આ પ્રકારના નિવેદનો આપી દેશની પ્રજાને ડરાવી રહ્યાં છે.
ગૌરવ ગૌર: સોફ્ટવેર એન્જિનિયર
ગૌરવ ગૌરે જણાવ્યું હતું કે વડાપ્રધાનના આ નિવેદનથી સ્પષ્ટ જોવા મળે છે કે કોંગ્રેસે લોકસભાની ચૂંટણી પહેલાં હાર સ્વિકારી લીધી છે. અત્યારે કોંગ્રેસનો એક જ ગોલ છે કે તે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનતાં અટાકવવા. વડાપ્રધાને પોતાની સિદ્ધિઓ ગણાવી અને નિષ્ફળતાઓના નામે મોદી પર દાઝ કાઢી નાખી. છેલ્લા 10 વર્ષ ભારતીયો માટે ખતરનાક રહ્યાં છે અને ખતરામાંથી બહાર નિકળવા માટે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બને તે જરૂરી છે.
પ્રકાશ તેજાણી: સોફ્ટવેર એન્જિનિયર
પ્રકાશ તેજાણીએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી દેશ માટે ઘાતક છે કે નથી તેનો જવાબ દેશની જનતા લોકસભાની ચૂંટણીમાં આપી દેશે. ગુજરાતની પ્રજાએ નરેન્દ્ર મોદીને સતત ત્રણવાર ચૂંટીને સાબિત કરી દિધું છે કે નરેન્દ્ર મોદી ઘાતક નથી. મારું માનવું છે કે 15 વર્ષ પહેલાં સર્જાયેલા ગોધરાકાંડ કરતાં વધુ ખતરનાક ભારતમાં વધતી જતી બેરોજગારી, ફૂગાવો, ભ્રષ્ટાચાર અને વિદેશનિતી છે જેને રોકવામાં કોંગ્રેસ નિષ્ફળ નિવડી છે.
જાનવી પરમાર: આઇટી ડેવલોપર
પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરતી જાનવી પરમારે જણાવ્યું હતું કે આપણા વડાપ્રધાન પોતાને અસુરક્ષિત અનુભવતા હોવાથી આ પ્રકારના વાહિયાત નિવેદનો આપી રહ્યાં છે. આજે ટેક્નોલોજી ક્ષેત્રે ગુજરાતમાં નોકરી તકો વધી છે. દેશમાં સૌથી વધુ મહિલાઓ ગુજરાતમાં પોતાને સુરક્ષિત અનુભવે છે. વધતી જતી ઉંમરની સાથે આપણા વડાપ્રધાન મતી ઓછી થતી જતી હોવાથી આ પ્રકારના નિવેદનો કરી રહ્યાં છે.
બબીતાબેન: ગૃહિણી
ગૃહિણી તરીકે કામ કરતાં બબીતાબેને જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીના રાજમાં સ્ત્રીઓ સુરક્ષિત છે. છેડતી, ચીલઝડપ જેવા કિસ્સાઓમાં ઘટાડો થયો છે. જ્યારે રોજગારી અને અવનવી યોજના હેઠળ મહિલાઓને પગભર બનાવવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા છે. સ્ત્રીઓ શિક્ષણ માટે જરૂરિયાતો રાહત આપવામાં આવતી હોવાથી સ્ત્રીઓ શિક્ષણ મેળવતી થઇ છે. બેટી બચાવો, સ્ત્રી ભૃણ હત્યા જેવા અભિયાન ચલાવીને સમાજમાં સ્ત્રીઓને દરજ્જો અપાવ્યો છે. નરેન્દ્ર મોદીના રાજમાં વિકાસ થયો છે. ત્યારે વડાપ્રધાનના આ પ્રકારના નિવેદન અંગે બસ કહી શકાય છે વડાપ્રધાન પોતાની જાત પરથી સંયમ ગુમાવી બેઠા છે એટલા માટે મનફાવે તેમ વાણીવિલાસ કરી રહ્યાં છે.