પક્ષાંતર ધારાભંગના કેસમાં ગાંધીનગર મેયરને મળી ક્લિન ચીટ
ગાંધીનગરના મેયર પ્રવિણ પટેલને મળી રાહત. પક્ષાંતર ધારાભંગની ફરિયાદમાં તે નિર્દોષ સાબિત થયા. વધુ જાણો આ અંગે અહીં.
ગાંધીનગર મેયર પ્રવિણ પટેલને પક્ષાંતર ભંગની ધારામાંથી રાહત મળી છે. કોંગ્રેસમાંથી ચૂંટણી જીતીને પક્ષ પલટો કરી પ્રવિણ પટેલ મેયર બની ગયા હતા. આ અંગેની ફરિયાદ કોંગ્રેસના નેતા શૈલેન્દ્રસિંહે બિહોલાએ કરી હતી. જેમાં મેયરને ગેરલાયક ઠેરવવાની માંગ કરવામાં આવી હતી. આ ચૂકાદા બાદ વિરોધ પક્ષના નેતા શૈલેન્દ્રસિંહ જણાવ્યુ હતુ કે, અમે રાજ્યના રમત ગમત સચિવ વી પી પટેલના ચૂકાદા સામે હાઇકોર્ટમાં જઇશું. હવે સરકાર પાસે ન્યાયની અપેક્ષા રાખી શકાય તેમ નથી.
નોધનીંય છે કે, એપ્રિલ 2016માં યોજાયેલ ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીના 8 વોર્ડના 32 પરિણામમાં ભાજપ-કોંગ્રેસ બંન્નેના ૧૬-૧૬ બેઠકો મળતાં ટાઈ પડી હતી. આથી સત્તા કોના હાથમાં એ વિશે સરકાર વિચારી રહી હતી ત્યારે પ્રવિણ પટેલે પક્ષાંતર કરી ભાજપમાં જોડાયા હતા અને તેમને મેયર પણ બનાવવામાં આવ્યા હતા. ત્યારથી જ પક્ષાંતરના કેસનો સામનો કરી રહ્યા હતા. કોંગ્રેસ દ્વારા તેમને વ્હીપનો અનાદર કરવા બદલ નોટિસ ફટકારી હતી, અને શૈલેન્દ્રસિંહ બિહોલાએ નામોદિષ્ટ અધિકારી વી.પી.પટેલ સમક્ષ અરજી કરી હતી. જે કેસમાં સવા વર્ષે ચુકાદો આવ્યો છે અને તે પણ મેયરની તરફેણમાં આ હુકમ આવ્યો છે.