Gandhinagar MNC Elections : પોલીસ અને ચૂંટણી અધિકારીઓ ઉંઘમાં, કાર્યકર્તાઓ બેફામ
આજે ગાંધીનગર મનપાના 11 વોર્ડની 44 બેઠકો પર મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં નાગરીકોને મતદાન મથક સુધી પહોંચાડવા માટે આપ, ભાજપ અને કોંગ્રેસ પોતાના તમામ પ્રયાસો કરી રહી છે.
આજે ગાંધીનગર મનપાના 11 વોર્ડની 44 બેઠકો પર મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં નાગરીકોને મતદાન મથક સુધી પહોંચાડવા માટે આપ, ભાજપ અને કોંગ્રેસ પોતાના તમામ પ્રયાસો કરી રહી છે. આ દરમિયાન સેક્ટર 19માં વિવાદનું વંટોળ સર્જાયું હતું. જે બાદ પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલ સામે પણ માથાકુટ થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે, જ્યાં AAP અને ભાજપના કાર્યકતાઓ સામ સામે ગયા હતા. જે દરમિયાન તેમણે એકબીજા પર ખુરશીઓ પણ ફેંકી હતી.
આમ આદમી પાર્ટીનો આક્ષેપ - ભાજપના કાર્યકર્તાઓએ કરી છે તોડફોડ
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં મતદાન સમયે હોબાળો જોવા મળી રહ્યો છે. જેમાં પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલ સામે આમ આદમી પાર્ટીના ટેબલ પર મારામારી થઈ હતી. મતદાન સમયે પોલીસની હાજરીમાં ખુરશીઓ તોડીને પેપર સહિતની સામગ્રી ફેંકી દેવામાં આવી હોવાનો આક્ષેપ પણ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યો છે.
AAP અને ભાજપ કાર્યકર્તાઓ આમનેસામને આવી જતા મામલો ઉગ્ર બન્યો હતો. બંને પક્ષના કાર્યકર્તાઓએ પોલીસની હાજરીમાં જ આ માથાકૂટ કરી હતી, તેમ છતાં પોલીસ મૂક પ્રેક્ષક બની માત્ર તમાશો જોતી હતી. જે કારણે પોલીસ કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે.
સેકટર 22માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઘમાસાણ
ગાંધીનગર મહાનગરપાલિકાના સેકટર 22માં આવેલી સરકારી શાળામાં પણ હોબાળો મચ્યો છે. GMC ચૂંટણી સમયે આચારસંહિતા લાગુ હોવા છતાં પણ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો પ્રચાર કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. જે દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમનેસામને આવી ગયા હતા. બંન્ને પક્ષના કાર્યકરોના એકબીજા પર એકબીજા પર પ્રચાર કરતા હોવાનો આરોપ લગાવી રહ્યા છે.
સેક્ટર 19માં પણ વિવાદનો વંટોળ
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા ચાલી રહ્યું છે. જેમાં સેક્ટર 19ના મતદાન મથકમાં AAPના કાર્યકર્તા બુથ પર ટોપી પહેરીને બેસતા વિવાદ સર્જાયો હતો. દરેક પાર્ટી પોતાનો બુથ કાર્યકર ચૂંટણીમાં કંઇપણ ગેરરીતિ ન થાય, તે માટે દરેક મતદાન મથકમાં બેસાડતી હોય છે. જે અંતર્ગત સેક્ટર 19ના મતદાન મથકમાં AAPના કાર્યકર્તા ટોપી પહેરીને બેઠા હતા, તેવો આરોપ કોંગ્રેસ નેતા નિશીત વ્યાસ દ્વારા લગાવવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ચૂંટણીના મતદાન સમયે આચાર સાહિતા લાગુ હોવાથી મતદાન મથકની 100 મીટરની આસપાસ કોઈ પણ રીતે પ્રચાર કરવો ગેરકાયદેસર છે, પણ અહી તો AAPનો બુથ કાર્યકર સરેઆમ ચૂંટણી નિયમોનો ભંગ કરી રહ્યો હતો. ઉંઘમાં ફરજ બજાવતા હોય તેમ અધિકારીઓના ધ્યાનમાં પણ આ બાબત આવી ન હતી, ત્યારે સવાલ કોંગ્રેસના નેતા નિશીત વ્યાસે ચૂંટણી અધિકારીને ફોન પર કરી ફરિયાદ કરતા AAPના મહિલા કાર્યકર્તાએ ટોપી કાઢી નાખી હતી.