Gujarat Paper Leak: જુનીયર કલાર્ક પરીક્ષા રદ્દ કર્યા બાદ GPSSB આપ્યું નિવેદન, 100 દિવસમાં ફરી લેવાશે પરીક્ષા
Gujarat Paper Leak : જુનીયર કલાર્ક પરીક્ષા રદ્દ કર્યા બાદ GPSSB દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં પસંદગી મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 100 દિવસમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા ફરી યોજવામાં આવશે.
Gujarat Paper Leak : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત સેવા વર્ગ-3 ની જાહેરાત ક્માંક 12/2021-22 જુનીયર કલાર્ક(વહીવટ/ હિસાબ)ની સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 29-01-2023 (રવિવાર)ના રોજ સવારે 11 થી 12 કલાક દરમિયાન વિવિધ જિલ્લાઓ ખાતે યોજાવાની હતી.
તારીખ 29 જાન્યુઆરી, 2023ની વહેલી સવારે પોલીસ તરફથી મળેલી માહિતી મુજબ પોલીસને મળેલી બાતમી આધારે એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી સઘન પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેની પાસેથી ઉપરોક્ત પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવી હતી. આ બાબતની તાત્કાલિક અસરથી ફોજદારી રાહે પોલીસ કાર્યવાહી અને આગળની તપાસ કરવામાં આવી રહી છે. આ પરત્વે માત્ર બે જ કલાકમાં અસરકારક પગલા લઇ તાકીદની કાર્યવાહી કરવામાં આવી છે.
અત્યાર સુધીની તપાસમાં બહાર આવેલા તથ્યોને ધ્યાનમાં રાખતા સદર કૃત્ય ગુજરાત રાજ્ય બહારની ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા સંગઠિત ગેંગ હોવાનું જણાય છે, જે ઓર્ગેનાઇઝડ ક્રાઇમ છે. ઉપરોકત પરીક્ષાના આયોજનને ધ્યાને લઇ પોલીસ તંત્ર દ્વારા સઘન સર્વેલન્સ ગોઠવવામાં આવ્યું હતું. અનિષ્ટ તેમજ અસામાજીક તત્વો ઉપર નજર રાખવામા આવી હતી, જેના પરિણામે ઉપરોકત ગુનો બને તે પહેલા જ આવા કૃત્યમાં સંડોવાયેલ 15 જેટલા ઇસમોની અટક કરી આગળની ઘનિષ્ઠ પૂછપરછ તથા તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહેનતુ અને સાચા ઉમેદવારોને નુકસાન ન થાય તે હેતુથી ઉમેદવારોના વિશાળ હિતમાં તાત્કાલિક નિર્ણય લઇ તા. 29-01-2023 ના રોજ સવારે 11 કલાકે યોજાનારી સ્પર્ધાત્મક પરીક્ષા મોકૂફ કરવા મંડળ દ્વારા નિર્ણય કરવામાં આવી છે.
આ મોકૂફ રાખવામા આવેલી સ્પર્ધાત્મક પરીક્ષા હવે આગામી 100 દિવસમાં યોજવામાં આવશે. રાજ્યની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખો તેમજ શાળા કોલેજોની પરીક્ષાની તારીખો ધ્યાનમાં રાખીને લઈને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે.
મંડળ દ્વારા એવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે, હવે પછીની પરીક્ષા માટે ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો ખાતે આવવા તથા પરત જવા માટે તેમના ઓળખપત્ર (કોલ લેટર/ હોલ ટીકીટ)ના આધારે ગુજરાત એસટી બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે.
મંડળ દ્વારા અત્યાર સુધી છેલ્લા 05 વર્ષંમા 21000 જેટલી જગ્યાઓ ભરવા માટે 41 જેટલા પંચાયત સેવાના વિવિધ સંવર્ગોમાં 30 લાખ થી વધારે ઉમેદવારો ધરાવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ સફળતા પૂર્વક યોજવામાં આવી છે, અને આ પરીક્ષાઓમાં તમામ સુરક્ષા, તકેદારી અને કાળજી રાખીને ઉમેદવારોની તદન પારદર્શક પદ્ધતિથી પસંદગી કરવામાં આવી છે. જેથી ઉપરોક્ત સંવર્ગ માટે પારદર્શક રીતે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી, માત્ર લાયક ઉમેદવારોની જ પસંદગી કરવા મંડળ કટીબદ્ધ છે.