ગુજરાત 2002 રમખાણો : કોડનાનીની જામીન અરજીની સુનવણીમાંથી જજ ખસી ગયા
અમદાવાદ, 15 જુલાઇ : આજે એક મહત્વના ઘટનાક્રમમાં ગુજરાતમાં વર્ષ 2002ના નરોડા પાટિયા રમખાણ કેસમાં અપરાધી જાહેર કરાયેલા ગુજરાતના ભૂતપૂર્વ પ્રધાન માયા કોડનાનીએ નોંધાવેલી જામીન અરજી અંગેની સુનાવણીમાંથી ગુજરાત હાઈ કોર્ટની સિંગલ બેન્ચના જજ ખસી ગયા છે.
નોંધનીય છે કે કોડનાનીએ નિયમિત પ્રકારના જામીન મેળવવા માટે અરજી નોંધાવી છે. આ રાહત માટે તેમણે પોતાની બગડતી જતી તબિયતનું કારણ આપ્યું છે. ન્યાયમૂર્તિ અનંત દવેએ તેમ છતાં કોડનાનીની જામીન અરજી અંગેની સુનાવણીમાંથી ખસી જવાનું નક્કી કર્યું છે.
આજે કેસની સુનાવણી જેવી હાથ ધરાઈ ત્યારે જજે કહ્યું કે, આ અરજી મારી પાસે મૂકશો નહીં. આ માટે જજે કોઈ કારણો આપ્યા નહોતા. હવે કોડનાનીની જામીન અરજી કોઈ અન્ય જજ સમક્ષ આવતી કાલે રજૂ કરાય એવી ધારણા છે.
નોંધનીય છે કે કોડનાનીએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે વિશેષ અદાલતના ચૂકાદાને પડકારતી તેમની અરજી ડિસેમ્બર 2012થી ગુજરાત હાઇકોર્ટમાં પેન્ડિંગ છે. આ અરજી પર નજીકના ભવિષ્યમાં સુનવણી કરવામાં આવે તેવી શક્યતા ઓછી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને તેમને જામીન પર છોડવામાં આવે.