ઘેડમાં પૂર નિવારવા સરકારે 1423 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી
ઘેડ વિસ્તારના ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા એક અત્યંત મહત્વનો અને રાહતકારી નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી પૂરની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. સૌરાષ્ટ્રના પૂરગ્રસ્ત ઘેડ પટ્ટીની ખેતીલાયક જમીનોને સુરક્ષિત કરવા માટે સરકારે 1,423 કરોડના વિશાળ પ્રોજેક્ટને વહીવટી મંજૂરી આપી દીધી છે. જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, આ પ્રોજેક્ટથી છ તાલુકાના અનેક ગામડાઓને ચોમાસામાં થતા નુકસાનથી બચાવી શકાશે.

સોરઠી અને બરડા ઘેડ વિસ્તારમાં દર વર્ષે ચોમાસા દરમિયાન મહિનાઓ સુધી ખેતરો જળબંબાકાર રહે છે, જેના કારણે ખેતી પાકને ભારે નુકસાન થાય છે. આ સમસ્યાના નિરાકરણ માટે સરકારે તબક્કાવાર આયોજન કર્યું છે, જેમાં પ્રથમ અને બીજા તબક્કાના કુલ 29 જેટલા વિકાસ કામો હાથ ધરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે કન્સલ્ટન્ટ એજન્સી દ્વારા સર્વે કરાયો હતો અને તેના આધારે જાન્યુઆરી 2025માં 1,534.19 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી પણ અપાઈ હતી.
જૂનાગઢ, પોરબંદર અને દ્વારકા જિલ્લાની ભાદર, ઓઝત અને મધુવંતી જેવી નદીઓના મુખ પાસે સપાટ જમીન હોવાથી પૂરના પાણી સમગ્ર વિસ્તારમાં ફરી વળે છે. આ પ્રોજેક્ટ હેઠળ નદીઓમાંથી કાંપ દૂર કરવો, પાળા મજબૂત કરવા અને પાણીના કુદરતી વહાવમાં આવતા અવરોધોને હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે કરાશે. હાલમાં પ્રથમ તબક્કાના 17 કાર્યો પ્રગતિમાં છે અને તે 2026ના ચોમાસા પહેલા પૂર્ણ થાય તેવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે જેથી ખેડૂતોને ત્વરિત લાભ મળે.
બીજા તબક્કાના કામો માટે આઈઆઈટી ગાંધીનગર દ્વારા સમીક્ષા કરવામાં આવી છે, જેમાં 1,423.4 કરોડના ખર્ચે નદી કિનારા મજબૂત કરવાની કામગીરી થશે. આ સિવાય દરિયાઈ પાણીને પ્રવેશતું અટકાવવા ટાઈડલ રેગ્યુલેટર્સનું નવીનીકરણ કરાશે અને જળસંગ્રહ વધારવા માટે જૂના તળાવોને વધુ ઊંડા કરવામાં આવશે. સરકારના આ ભગીરથ પ્રયાસોથી ઘેડ વિસ્તારના ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરશે અને ખેતીલાયક જમીનનું ધોવાણ અટકતા પાક ઉત્પાદનમાં પણ મોટો વધારો જોવા મળશે.












Click it and Unblock the Notifications
