વિધાનસભા ગૃહમાં ફરી થઇ ધમાલ, શાસક-વિપક્ષ વચ્ચે ઝપાઝપી
આજે ગાંધીનગર વિધાનસભામાં અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં ખેડૂતોની આત્મહત્યાના મામલે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ફરી ઘર્ષણ સર્જાયું હતું.
આજે ગાંધીનગર વિધાનસભા માં અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં ખેડૂતોની આત્મહત્યાના મામલે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ફરી ઘર્ષણ સર્જાયું હતું. કોંગ્રેસ ના ધારાસભ્ય પરેશ ધાનાણીએ ખેડૂતોની આત્મહત્યા અંગે સવાલ પૂછ્યો હતો. આ મુદ્દે હોબાળો થતાં 15 મિનિટ માટે ગૃહની કામગીરી સ્થગિત કરવામાં આવી હતી.
ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો ઇજાગ્રસ્ત
ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં શરમજનક ગણાય એવી આ ઘટનામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ઝપાઝપીના દ્રષ્યો સર્જાયા હતા. આ હોબાળામાં કોંગ્રેસના ધારાસભ્ય બળદેવ ઠાકરેને પગમાં ઇજા પહોંચી હતી, જ્યારે ભાજપ સરકારના મંત્રી નિર્મળાબહેન વાધવાણીને હાથમાં ઇજા થઇ હતી, સાથે જ વલ્લભ કાકડીયા અને શામજી ચૌહાણને પણ ઇજા પહોંચી હતી.
તાકીદની બેઠક બોલાવાઇ
વિપક્ષનો આક્ષેપ છે કે, શાસક પક્ષના ધારાસભ્યો દ્વારા અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બંન્ને પક્ષના સભ્યોને અધ્યક્ષે મીટિંગ માટે ચેમ્બરમાં બોલાવ્યા હતા. આ સાથે જ વિધાનસભા ગૃહને સ્થગિત કરવાનો સમયગાળો પણ લંબાયો હતો. ગૃહમાં થયેલી ધમાલના પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ચેમ્બરમાં તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદિપસિંહ જાડેજા અને ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ હાજર રહ્યાં હતા.
અહીં વાંચો - ગુજરાત બજેટ સત્ર બન્યું નલિયાકાંડનું વિરોધ સત્ર
કોંગ્રેસનું તોફાન સીસીટીવીમાં કેદ - નીતિન પટેલ
મુલતવી રખાયેલું ગૃહ 15 મિનિટ બાદ ફરી શરૂ થયું હતું. વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરાએ ગૃહને સંબોધતા કહ્યું હતું કે, ગૃહ મોકૂફ રાખ્યા બાદ પહેલી વખત આ પ્રકારની ઝપાઝપીની ઘટના બની છે. આ સમગ્ર ઘટનાને વખોડતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, ખેડૂતોના આપઘાત મુદ્દે કોંગ્રેસે હોબાળો કર્યો હતો અને સાર્જન્ટે આવીને બંન્ને પક્ષના સભ્યોને છૂટા પાડ્યા હતા. ત્યાર પછી કોંગ્રેસના ધારાસભ્ય બળદેવ ઠાકોરે પાછળથી આવી ભાજપના સભ્ય પર હુમલો કર્યો હતો. કોંગ્રેસે કરેલું તોફાન સીસીટીવીમાં કેદ થયું છે, અધ્યક્ષે પણ આ સીસીટીવી ફુટેજ જોઇ છે.
કોંગ્રેસ ધારાસભ્યોનું વોકઆઉટ
આ ઘટના બાદ કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણી અને બળદેવજી ઠાકોરને બહુમતના આધારે સમગ્ર સત્ર દરમિયાન સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સસ્પેન્શનના વિરોધમાં કોંગ્રેસના સભ્યોએ વિધાનસભા ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. શક્તિસિંહ ગોહિલ સિવાયના તમાં કોંગ્રેસી નેતાઓએ વિધાનસભા ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.