પ્રથમ તબક્કામાં 98 જેટલાં EVM થયા ખરાબ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સુરતમાં જ મળી 70 ઇવીએમ મશીન ખરાબ થવાની ફરિયાદ, કુલ 100 જેટલા મશીન થયા ખરાબ.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન એક તરફ ચાલી રહ્યું છે. ત્યાં બીજી તરફ અનેક વિસ્તારોમાંથી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો(EVM) ખરાબ થવાના સમાચારો પણ સામે આવી રહ્યા છે. પ્રથમ તબક્કામાં જ્યાં સૂરત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં મતદાન થઈ રહ્યું છે. ત્યાં લગભગ 98 જેટલા EVM ખરાબ થવાની ફરિયાદો સામે આવી છે. જેમાંથી માત્ર 70 જેટલી ફરિયાદો તો એકલા સૂરતના શહેરી વિસ્તારોમાંથી જ મળી છે. આ સિવાય કચ્છના ભૂજમાંથી 9, મુંદ્રામાંથી 2, રાપરમાંથી 1, અબડાસામાંથી 1 ફરિયાદ મળી છે. જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો અમરેલીમાંથી 3, રાજુલામાંથી 3 EVM ખરાબ થયા હોવાનું સામે આવ્યું છે. જે કોઈપણ સ્થળે EVM ખરાબ થયા છે, ત્યાં નવા EVM તરત જ મોકલી આપવામાં આવ્યા હતા. આટલું જ નહીં રાજકોટ પૂર્વની એક બેઠક પર મતદાન દરમિયાન મોબાઈલથી વીડિયોગ્રાફી કરવાની ઘટના પણ સામે આવી છે. જેની ફરિયાદ મળ્યા બાદ ઝોનલ અધિકારીએ તપાસના આદેશ આપી દીધા છે. આજે પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે.

વડાપ્રધાન મોદીથી લઈને રાહુલ ગાંધી સુધી ભાજપ અને કોંગ્રેસના તમામ નેતાઓ હાલ ગુજરાતની ચૂંટણીમાં પોતાની તમામ તાકાત લગાવી રહ્યા છે. ચૂંટણી પહેલા થયેલા કેટલાંક સર્વેમાં ભાજપને બહુમત મળતો દેખાયો છે. તો કેટલાંક સર્વેમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર થતી દેખાડવામાં આવી છે. ભાજપ પાંચમી વખત ગુજરાતની સત્તા પર બિરાજમાન થાય છે કે પછી આ વખત કોંગ્રેસને સફળતા મળે છે તે તો 18મી ડિસેમ્બરે જ જાણવા મળશે.
જો કે હાલ તો વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધી બંન્ને ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણી માટે પ્રચંડ પ્રચારમાં વ્યસ્ત છે અને એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. પાટણમાં વડાપ્રધાન પર આક્ષેપ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, "હવે મોદીજી પાસે વિકાસનો મુદ્દો રહ્યો નથી. મણિશંકર અય્યર તેમના વિશે શું બોલે છે એ તેમના માટે ચૂંટણીનો મુદ્દો બની જાય છે. તમે બધા એક વાત નોંધી લો કે આ સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન મોદીજીએ ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો નથી. જાણો છો કેમ? કારણ કે અમિત શાહના દિકરાની કંપનીએ 50 હજાર રૂપિયાને 50 હજાર કરોડ રૂપિયા બનાવી દીધા છે. આ ભ્રષ્ટાચારનો મુદ્દો વડાપ્રધાન ન દેખાતો નથી."
બીજી તરફ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, "આજે કોંગ્રેસમાં એટલી નિરાશા વ્યાપી ગઈ છે કે તેઓ મોદીને ગાળો બોલી રહ્યા છે. " મોદીએ ગુજરાતના લોકોને અપીલ કરતા કહ્યું કે, "મને ગાળો આપનારાને તમે વોટથી જવાબ આપજો." પોતાને ગુજરાતનો દિકરો ગણાવતા વડાપ્રધાને કહ્યું કે, તમે લોકો જ મને કહો કે, "આ નરેન્દ્ર મોદી તમને વડાપ્રધાન લાગે છે કે તમારા ઘરનો દિકરો લાગે છે? હું તમારા દરેક સુખ- દુઃખના સમયમાં તમારી પાસે દોડીને આવું છું કે નહીં? હું તમારા ઘરોમાં આજે પણ નરેન્દ્ર મોદી છું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નથી." આમ ભાજપ અને કોંગ્રેસના તમામ નેતાઓ હાલ તો એકબીજા પર આક્ષેપો કરવામાં વ્યસ્ત છે. ત્યારે ગુજરાતની જનતાએ કોના આક્ષેપો સાચા છે અને કોના ખોટાં તે જાતે જ નક્કી કરવાના છે.












Click it and Unblock the Notifications
